કેન્દ્ર સરકાર ભારતીય સેના અને સૈન્ય જવાનો માટે સતત કામ કરી રહી છે. ભારતીય સેનાના જવાનોને સન્માન આપવાના ભાગરૂપે છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં વિવિધ સ્થળોએ અનેક સ્મારકો બન્યા છે અને સૈન્ય કલ્યાણકારી યોજનાઓ પણ બની છે. હાલમાં ભારતીય સેનાના પૂર્વ જવાનોના સન્માનમાં વધુ એક પ્રસંશનીય કામ કરવા કેન્દ્રની મોદી સરકાર જઈ રહી છે. વડાપ્રધાન મોદી આજે 23 જાન્યુઆરી, 2023ના આંદમાન અને નિકોબારના વિવિધ દ્વીપ પૈકી 21 સૌથી મોટા નામ વગરના દ્વીપોનું નામકરણ કરશે. આ દ્વીપોના નામ ભારતના 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ ઉપરથી રાખવામાં આવશે.
વડાપ્રધાન મોદી આજે 23 જાન્યુઆરી, 2023ના રોજ સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ પણ કરશે. પરમવીર ચક્ર વિજેતાઓના સન્માનમાં આ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.
વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ રોસ દ્વીપ સમૂહના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં તેનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોસ દ્વીપ રાખ્યું હતું. તેની સાથે નીલ દ્વીપ અને હૈવલોક દ્વીપનું નામ પણ બદલીને શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ કર્યું હતું. હવે ફરી એકવાર આંદમાન અને નિકોબારના દ્વીપોનું નામકરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસની જન્મજંયતીને દિવસે પરમચક્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આંદમાન અને નિકોબારના દ્વીપોનું નામ મેજર સોમનાથ શર્મા સહિત 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. સુબેદાર અને કેપ્ટન કરમ સિંહ , દ્વિતીય લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંઘ, કેપ્ટન જી.એસ. સલારિય, લેફ્ટનન્ટ કર્નલ ધન સિંહ થાપા, સુબેદાર જોગીન્દર સિંહ, મેજર શૈતાન સિંહ, અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બરજોરજી તારાપોર, લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંહ, દ્વિતીય લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર, અને સુબેદાર મેજર નિવૃત્ત ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવના નામે દ્વીપનુ નામ રખાશે.