શું 4 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર? દેશના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કર્યો ચિંતાજનક દાવો
દેશ હજુ માંડ બીજી લહેરના આતંકથી બહાર આવ્યો છે, ત્યાં હૈદરાબાદના એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે દેશમાં ત્રીજી લહેર સંભવતઃ 4 જુલાઈથી શરુ થઇ ગઈ છે. ચાલો જાણીએ સંપૂર્ણ અહેવાલ.
કોરોનાની બીજી લહેર (Second Wave) બાદ દેશવાસીઓ માંડ રાહતના શ્વાસ લઇ રહ્યા છે. આ વચ્ચે વેક્સિન (Corona Vaccine) લેવાની ઉતાવળ અને ત્રીજી લહેર (Third Wave) આવવાની ચિંતા બંનેનું વાતાવરણ છે. ત્રીજી લહેર આવવાને લઈને અલગ અલગ તારણો સામે આવી રહ્યા છે. કેટલાક તારણો ચિંતા ઘટાડે છે તો કેટલાક તારણો ચિંતા ખુબ વધારી દે છે. આવામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. હૈદરાબાદ વિશ્વવિધાલયના પ્રતિ કુલપતિ રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ત્રીજી લહેરને લઈને મોટી વાત કહી છે.
હૈદરાબાદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ બજાવી ચૂકેલા વરિષ્ઠ ભૌતિકશાસ્ત્રી ડોક્ટર વિપિન શ્રીવાસ્તવએ (Dr. Vipin Srivastava) ભારતમાં Covid -19 ના સંક્રમણના પ્રસારનું વિગતવાર વિશ્લેષણ કર્યું છે. આ બાદ તેમણે સોમવારે એટલે કે 12 જુલાઇના રોજ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર 4 જુલાઈથી સંભવતઃ શરૂ થઈ ગઈ છે.
આ રિપોર્ટ માટે તેમને દેશમાં છેલ્લા 463 દિવસોમાં સામે આવેલા કેસ અને મોતના આંકડાઓનું અધ્યયન કર્યું. આ અભ્યાસ માટે તેમણે એક ખાસ રીત વિકસિત કરી. ડોક્ટર વિપિન શ્રીવાસ્તવના કહ્યા અનુસાર ચાર જુલાઈની તારીખ આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા જેવી રહી, જ્યારે બીજી લહેર શરુ થઇ હતી.
તેમના વિશ્લેષણ મુજબ જ્યારે પણ સંક્રમણથી દૈનિક મૃત્યુના (Daily Death) કિસ્સા વધતા વલણથી ઘટતા વલણ તરફ જાય છે અથવા તેનાથી ઉલટું વધે છે ત્યારે ‘ડેલી ડેથ લોડ’ (DDL) માં તીવ્ર ઉતાર ચડાવ જોવા મળે છે. ડોક્ટર શ્રીવાસ્તવે 24 કલાકની અવધિમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનાં કેસ અને એ સમયગાળામાં સારવાર માટે આવેલા નવા દર્દીઓની સંખ્યાની (New Corona Cases) ખાસ રીતે ગણતરી કરી છે અને તેનું નામ ડીડીએલ (DDL) રાખ્યું છે.
આ DDL ની ગણતરી પર તેમણે કહ્યું કે હાલમાં 4 જુલાઈએ જોવા મળેલા આંકડા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા જેવા છે. જેમાં DDLમાં આ જ રીતે આંકડાઓમાં વધઘટ જોવા મળી હતી. અને એ સમય કોરોનાની બીજી લહેર શરુ થવાનો હતો. આ અનુસાર તેમણે કહ્યું કે સંભવતઃ 4 જુલાઈથી કોરોનાની ત્રીજી લહેર પણ શરુ થઇ ચૂકી છે.
આ વિશે ડોક્ટર શ્રીવાસ્તવે કહ્યું કે આપણે પ્રારથના કરવી જોઈએ કે DDL નકારાત્મક જ રહે. તેમણે એમ પણ કહ્યું કે ત્રીજી લહેરથી બચવા માટે તંત્રએ વધુ સાવધાની રાખવી પડશે. અને લહેરની શરૂઆતમાં ખાસ ધ્યાન રાખવું પડશે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે લોકો બેફામ બની રહ્યા છે. તેમજ સરકાર પણ સતત સાવધાની રાખવા કહી રહી છે.
આ પણ વાંચો: કોરોનાના કઠીનકાળમાં ગુજરાત સરકારે વેપારીઓને શ્રેણીબદ્ધ રાહત આપી : ઉર્જામંત્રી સૌરભ પટેલ