કોંગ્રેસ(Congress) પાર્ટીએ નીતિશ કુમાર(Nitish Kumar)ને સમર્થન જાહેર કર્યું છે. પરંતુ આ માટે કોંગ્રેસે નીતિશ કુમાર સામે એક શરત પણ રાખી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે જો નીતિશ કુમાર ભાજપ(BJP) છોડશે તો તેમને અમારું સમર્થન મળશે. મોડી સાંજે પટનામાં યોજાયેલી કોંગ્રેસની બેઠક બાદ પાર્ટીએ જેડીયુને સમર્થન આપવાની જાહેરાત કરતા આ વાત કહી. કોંગ્રેસે કહ્યું કે પાર્ટી નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયુને કોઈપણ શરત વગર સમર્થન આપશે. આ સાથે જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સજ્જ રહેવા માટે કહ્યુ છે.
બિહાર કોંગ્રેસ ધારાસભ્ય દળનો અભિપ્રાય વિભાજિત છે. તેમનું કહેવું છે કે આ બેઠક સત્તાવાર ન હતી. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો પ્રભારી ભક્ત ચરણ દાસને મળવા ગયા હતા. તાજેતરની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. હકીકતમાં, બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે મળીને મહાગઠબંધનની સરકાર બનાવવાની ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર ભાજપથી નારાજ છે. આ જ કારણ છે કે તેઓ રવિવારે નીતિ આયોગની બેઠકમાં પણ ગયા ન હતા. સોમવારે, તેમના ફરી એકવાર પક્ષ બદલવા અને મહાગઠબંધન સાથે આવવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
એનડીએથી અલગ થવાની ચર્ચા વચ્ચે ડાબેરી પક્ષોએ પણ નીતિશ કુમારને સમર્થન આપવાની વાત કરી છે. CPI(ML)ના રાષ્ટ્રીય મહાસચિવ દિપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું છે કે નીતિશ કુમારે પહેલા ભાજપ છોડીને NDAમાંથી બહાર આવવું જોઈએ. તે પછી અમે તેમને બિનશરતી સમર્થન આપીશું. દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે માત્ર CPI(ML) જ નહીં પરંતુ અન્ય ડાબેરી પક્ષો પણ તેમને બિનશરતી સમર્થન આપશે.
તો સાથે જ એ વાત પણ સામે આવી રહી છે કે આરજેડી અને નીતિશ કુમાર પણ બિહારમાં સરકાર બનાવવા માટે રાજી થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવ અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ આ અંગે ત્રણ વખત મળ્યા છે. જે બાદ સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર સર્વસંમતિ સધાઈ છે. જો કે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે નીતિશ કુમારને આરજેડીના સમર્થનનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે અમારી પાસે આવવાને બદલે નીતીશ કુમારે જનતાની વચ્ચે જવું જોઈએ.
Published On - 7:05 am, Tue, 9 August 22