દિલ્હીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાને (Tajinder Pal Singh Bagga) મંગળવારે હાઈકોર્ટમાંથી (High Court) મોટી રાહત મળી છે. તેની ધરપકડ પરનો પ્રતિબંધ 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે બગ્ગાએ મોહાલી કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરંટ વિરુદ્ધ શનિવારે મોડી સાંજે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. શનિવારે મોડી સાંજે, કોર્ટે જસ્ટિસ અનૂપ ચિતકારાના નિવાસસ્થાને સુનાવણીની મંજૂરી આપી હતી. મધ્યરાત્રિએ અરજીની સુનાવણી થઈ અને બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત મળી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુનાવણી લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. જે બાદ કોર્ટે બગ્ગાની અરજી પર 10 મેના રોજ સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.
મોહાલી કોર્ટના ન્યાયિક મેજિસ્ટ્રેટ રાવતેશ ઈન્દ્રજીતની અદાલત દ્વારા બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. મોહાલી કોર્ટે પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ બગ્ગા શનિવારે રાત્રે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યા અને ધરપકડ વોરંટ રદ કરવાની માગ કરી. બગ્ગાની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ અનૂપ ચિતકારાએ કહ્યું હતું કે તજિંદર બગ્ગા સામે કોઈ કઠોર કાર્યવાહી ન કરવી જોઈએ.
અરવિંદ કેજરીવાલ વિરુદ્ધની ટિપ્પણી બાદ બગ્ગા વિરુદ્ધ પંજાબના મોહાલીમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસના આધારે પંજાબ પોલીસે બગ્ગાને દિલ્હી સ્થિત તેના ઘરેથી ઝડપી લીધો હતો. બગ્ગાના અપહરણનો કેસ નોંધ્યા પછી, દિલ્હી પોલીસે હરિયાણા પોલીસનો સંપર્ક કર્યો અને બગ્ગાને લઈ જઈ રહેલા પંજાબ પોલીસના કાફલાને કુરુક્ષેત્રમાં રોકી દેવામાં આવ્યો. ત્યારપછી દિલ્હી પોલીસની ટીમ બગ્ગાને કુરુક્ષેત્રથી લઈને દિલ્હી પરત ફરી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે જો પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડ કરવી હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈતી હતી. દિલ્હી પોલીસે અપહરણ કેસના આધારે તેની કાર્યવાહી પૂર્ણ કરી.
પંજાબ પોલીસે ગયા મહિને બીજેપી નેતા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગુનાહિત ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો. મોહાલીમાં રહેતા એક વ્યક્તિની ફરિયાદના આધારે પોલીસે બગ્ગા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મોહાલી કોર્ટે તજિંદર બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે પંજાબ પોલીસને બીજેપી નેતા બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
Published On - 1:22 pm, Tue, 10 May 22