
એક સમય હતો જ્યારે શુભેન્દુ અધિકારી મમતા બેનર્જીના સૌથી વધુ વિશ્વાસુ માણસ હતા. મમતા બેનર્જી તેમના પર સૌથી વધુ ભરોસો કરતા હતા. એ જ શુભેન્દુ અધિકારીએ માત્ર 64 મહિનામાં મમતા બેનર્જી પાસેથી પશ્ચિમ બંગાળનું સિંહાસન આંચકી લીધુ.
એક સમયે મમતાના શિષ્ય ગણાતા આ ગુરુ શિષ્યની લડાઈમાં આખરે જીત શિષ્યની થઈ. શિષ્ય ગુરુ પર ભારે પડી ગયો. શુભેન્દુએ મમતા બેનર્જીનો 15 વર્ષ જૂનો કિલ્લો ધ્વસ્ત કરવામાં BJP ને ઘણી મદદ કરી. BJP માટે ભલે પશ્ચિમ બંગાળ ઘણુ મહત્વપૂર્ણ રહ્યુ હોય પરંતુ તેની પાસે એવો કોઈ નેતા ન હતો જે મમતાને સીધી ટક્કર આપી શકે. જે મમતા બેનર્જીને તેના જ ગઢમાં પડકારી શકે.
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સપોર્ટ તો પુરો હતો પરંતુ જ્યાં સુધી રાજ્યનો કોઈ સ્થાનિક નેતા જ સીધો મમતાના ગઢમાં જઈને તેને પડકારે નહીં ત્યાં સુધી બંગાળ જીતવુ BJP માટે ઘણુ મુશ્કેલ હતુ. આજ કારણ છે કે ભાજપને શુભેન્દુના રૂપમાં એ નેતા મળ્યો.
શુભેન્દુ અધિકારી મમતાના ઘણા ખાસ વ્યક્તિ હતા. તેમના આંદોલનના સમયથી તેઓ મમતા દીદીની સાથે હતા. તેમના અત્યંત વિશ્વાસુ પણ હતા. તો સવાલ એ છે કે આ સંબંધોમાં તિરાડ ક્યાંથી આવી?
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ અને ક્લિયર મેજોરિટી સાથે 300 થી વધુ બેઠકો જીતી લીધી. એ સમયે મમતા બેનર્જીની પાર્ટીમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK) ની એન્ટ્રી થઈ. ત્યારબાદ TMCમાં મમતા બેનર્જી ના ભત્રીજા અભિષેક બેનર્જીનું વર્ચસ્વ વધવા લાગ્યુ. શુભેન્દુ જેવા જમીની નેતાને એવુ લાગવા લાગ્યુ કે પાર્ટીમાં કોર્પોરેટ સ્ટાઈલના દખલને કારણે તેના જેવા જુના કાર્યકર્તાઓની ઉપેક્ષા થઈ રહી છે.
શુભેન્દુ અધિકારીએ જ્યારે TMC છોડી ત્યારે તેમણે અભિષેક બેનર્જી વિશે કહ્યુ હતુ કે દિલ્હીથી મમતા બેનર્જી ભત્રીજાને લઈ આવ્યા છે, તેની ઓળખ પશ્ચિમ બંગાળના CMના ભત્રીજા સિવાય બીજી કોઈ જ નથી. પાર્ટીમાં થતી અવગણનાનો અસંતોષ કેટલાય મહિનાઓ સુધી સળગતો રહ્યો. આખરે નવેમ્બર 2020માં મમતા સરકારના કેબિનેટમાંથી રાજીનામુ આપ્યુ. તેમને મનાવવા માટેના પણ ખૂબ પ્રયાસ થયા. પરંતુ શુભેન્દુનો હરીરસ ખાટો થઈ ચુક્યો હતો અને તેમણે TMC છોડવાનું નક્કી કરી લીધુ હતુ અને ડિસેમ્બર 2020માં TMC સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા.
શુભેન્દુએ જ્યારે TMC છોડી ત્યારે તે મમતા સરકારમાં કેબિનેટ મંત્રી હતા. મોટા મોટા 5 વિભાગ-પોર્ટફોલિયો તેમની પાસે હતા. પાર્ટી છોડ્યા બાદ શુભેન્દુએ જણાવ્યુ કે તેમણે મમતા બેનર્જીની તુષ્ટિકરણની રાજનીતિ, ભ્રષ્ટાચાર અને જુઠાણાઓની સામે સંઘર્ષ કરવા માટે તેમનો સેફ પેસેજ કે કમ્ફર્ટ ઝોન એકઝાટકે છોડી દીધુ.
2021ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શુભેન્દુ મમતાની સામે સૌથી બુલંદ અવાજ બન્યા. તેઓ તેમના ગઢ નંદીગ્રામથી ચૂંટણી લડ્યા. મમતા બેનર્જીએ પણ તેને પાઠ ભણાવવા નંદીગ્રામથી ચૂંટણી લડવાનું એલાન કર્યુ. એ જ નંદીગ્રામ જ્યાથી એક સમયે મમતાનો ઉદય થયો હતો. એ જ નંદીગ્રામ જ્યાંથી મમતાએ આંદોલનના મંડાણ કર્યા હતા.
શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના એક રાજકીય પરિવારમાંથી આવે છે. પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. મમતા બેનર્જીએ પોતાની TMC બનાવી તો તેમા જોડાઈ ગયા. પરંતુ શુભેન્દુના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સમય 2007માં આવ્યો જ્યારે નંદીગ્રામમાં લેફ્ટની સરકારે SEZ (સ્પે. ઈકોનોમિક ઝોન) બનાવ્યો અને ત્યાં જમીન અધિગ્રહણ શરૂ થયુ. જેની સામે મમતા બેનર્જીએ તેના આંદોલનની શરૂઆત કરી અને તેમના સૌથી મોટા નેતા બનીને બહાર આવ્યા શુભેન્દુ અધિકારી. ત્યાંથી જ તેઓ એક સામાન્ય નેતામાંથી જનનેતા બનીને બહાર આવ્યા. કોલકાતાથી લઈને દિલ્હી સુધી મમતા બેનર્જી નંદીગ્રામનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે નંદીગ્રામના ગામેગામ જઈને જમીન પર લડાઈ શુભેન્દુ લડી રહ્યા હતા. લેફ્ટની સરકાર ગામલોકોને પોલીસની ધોંસ બતાવી રહી હતી ત્યારે શુભેન્દુ તેમની ઢાલ બનીને ઉભા રહ્યા. જે આંદોલનના જોરે મમતા બેનર્જીએ 34 વર્ષની કોમ્યુનિસ્ટોની સત્તા ધ્વસ્ત કરી દીધી તેના અસલી ગ્રાઉન્ડ વર્કર શુભેન્દુ અધિકારી જ હતા.
વર્ષ 2009માં મમતા બેનર્જીએ તેમને સંસદમાં મોકલ્યા. 2011માં બંગાળમાં મમતાની બંપર જીત થઈ. 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે પણ શુભેન્દુએ તેમની સીટ તો બચાવી જ લીધી હતી. 2016ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પાર્લામેન્ટ છોડી ફરી બંગાળની રાજનીતિમાં પાછા આવી ગયા. મમતાની સરકારમાં તેમની પાસે અનેક ડિપાર્ટમેન્ટ હતા. મમતાએ તેમને મંત્રી બનાવ્યા. મોટા મોટા વિભાગો સોંપ્યા પરંતુ 2019 આવતા સુધીમાં જેવુ દીદીના ભત્રીજા અભિષેકનું પાર્ટીમાં વર્ચસ્વ વધવા લાગ્યુ, શુભેન્દુએ મમતાથી છેડો ફાડી લીધો.
બંગાળમાં ભાજપના પ્રચંડ વિજયમાં સૌથી મોટા જાયન્ટ કિલર, સૌથી મોટા નાયક બનીને સામે આવ્યા છે શુભેન્દુ અધિકારી. મમતાના સૌથી વધુ વિશ્વાસુ લેફ્ટનન્ટે માત્ર સાડા પાંચ વર્ષમાં મમતાના ગઢમાં એવુ તો ગાબડુ પાડ્યુ કે ન માત્ર ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં સત્તાના દ્વાર ખૂલ્યા પરંતુ પરંતુ હાલ મમતા બેનર્જી માટે તેમનુ રાજકીય અસ્તિત્વ ટકાવવુ પણ મુશ્કેલ બનાવી દીધુ છે.
17 ડિસેમ્બર 2020
શુભેન્દુ અધિકારીએ તૃણમુલ કોંગ્રેસ (TMC)થી છેડો ફાડ્યો
19 ડિસેમ્બર 2020
શુભેન્દુ અધિકારી BJPમાં જોડાયા
64 મહિના બાદ
BJP ને બંપર જીત અપાવી
હવે સૌના મનમાં એક જ સવાલ છે કે ભાજપ કોના શિરે CM નો તાજ પહેરાવશે. અમિત શાહે દીદીના દાવાનો જવાબ આપતા કહ્યુ હતુ કે જો ભાજપ સત્તામાં આવશે તો બંગાળની ધરતી પર જન્મેલા, બંગાળના જ ભાજપના કાર્યકર્તા, બંગાળી બોલનારા વ્યક્તિને જ બંગાળનો CM બનાવશે.
હાલ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી મોટો ચહેરો શુભેન્દુ અધિકારી છે. શુભેન્દુના આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપનો ગ્રાફ ઘણો ઊંચો આવ્યો છે.
વિશ્લેષકોના મતે નંદીગ્રામમાં મમતા બેનર્જીના આંદોલનનો સૌથી મોટો ચહેરો શુભેન્દુ અધિકારી જ હતા. મમતા બેનર્જીએ શુભેન્દુ અધિકારીની સામે નંદીગ્રામથી ચૂંટણી લડ્યા અને હારી ગયા. શુભેન્દુએ પહેલા જ મમતા સમક્ષ દાવો કર્યો હતો, “તમે લખી રાખજો, જો 50 હજાર વોટથી નંદીગ્રામ ન જીતુ તો રાજનીતિ છોડી દઈશ.” અને શુભેન્દુએ મમતાને નંદીગ્રામથી કરારી શિકસ્ત આપી.
નંદીગ્રામથી જ શુભેન્દુનો ઉદય થયો હતો. તેમણે 2021માં ભાજપને ન માત્ર 77 સીટો અપાવી પરંતુ એક સીટીંગ CM ને નંદીગ્રામથી મોટા માર્જિનથી હરાવ્યા. જે બાદ વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં પણ શુભેન્દુ અધિકારી નંદીગ્રામથી લડ્યા અને મમતા બેનર્જી ભવાનીપુર સીટથી. પરંતુ અમિત શાહની સલાહ બાદ શુભેન્દુ અધિકારી મમતાની સામે ભવાનીપુરથી પણ લડ્યા અને મમતા બેનર્જીને હરાવ્યા. શુભેન્દુ ડે-વનથી કોન્ફીડન્ટ હતા અને તેની રેલીઓમાં પણ કહેતા હતા કે દીદીને નંદીગ્રામથી હરાવ્યા હતા અને હવે ભવાનીપુરથી પણ હરાવીને રહીશ અને એવુ જ થયુ.
શુભેન્દુ ખુદ કહે છે કે તેઓ અનેકવાર MP,MLA બન્યા, પાર્ષદ બન્યા, 1998થી તેમની રાજકીય સફર શરૂ થઈ. 2001 થી 2026 સુધીમાં 8 મોટી ચૂંટણીઓ તેઓ લડ્યા અને જીત્યા છે. 2001માં એસેમ્બ્લી, 2004 પાર્લામેન્ટ, 2006 એસેમ્બ્લી, 2009 પાર્લામેન્ટ, 2014 પાર્લામેન્ટ, 2016 એસેમ્બ્લી, 2021 એસેમ્બ્લી,2026 ફરી એસેમ્બ્લી અને બે-બે સીટ જીત્યા.
Published On - 8:23 pm, Thu, 7 May 26