
જો માતા-પિતા બંને IAS અધિકારી હોય, તો તેમના બાળકોને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? કર્ણાટક હાઈકોર્ટના એક ચુકાદાને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મહત્વનો સવાલ પૂછ્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની બેન્ચે આ મામલે અવલોકન કરતાં જણાવ્યું કે, અનામતનો મુખ્ય હેતુ એવા પરિવારોને ઉપર લાવવાનો છે જેઓ હજુ પણ પછાત છે. જો કોઈ પરિવાર શિક્ષણ, નોકરી, સામાજિક સન્માન અને સંસાધનોની દ્રષ્ટિએ ઘણો આગળ નીકળી ચૂક્યો હોય, તો તેમના બાળકોને પણ એ જ રીતે અનામતનો લાભ આપવો કેટલો યોગ્ય છે?
અદાલતે હજુ આ મામલે આખરી ચુકાદો આપ્યો નથી, પરંતુ આ ટિપ્પણીને કારણે ઓબીસી અનામતમાં ‘ક્રીમી લેયર’નો મુદ્દો ફરી એકવાર દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
ભારતમાં અનામત આપવાની મૂળભૂત કલ્પના સામાજિક અને શૈક્ષણિક પછાતપણું દૂર કરવાની છે. ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગમાં પણ એવા પરિવારો છે જેઓ આર્થિક, સામાજિક કે વહીવટી સ્તરે ખૂબ મજબૂત બની ગયા છે. આવા સક્ષમ પરિવારોના હિસ્સાને ‘ક્રીમી લેયર’ કહેવામાં આવે છે. નિયમ મુજબ ક્રીમી લેયરમાં આવતા પરિવારોના બાળકોને ઓબીસી અનામતનો લાભ મળતો નથી, આ લાભ માત્ર ‘નોન-ક્રીમી લેયર’ (Non-Creamy Layer) એટલે કે પછાત અને વંચિત પરિવારોને જ મળે છે.
મોટાભાગના લોકો એવું માને છે કે જો પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કે તેથી વધુ હોય એટલે તે ક્રીમી લેયરમાં આવી જાય છે. પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ક્રીમી લેયર નક્કી કરવા માટે માત્ર આવક જ એકમાત્ર આધાર નથી. સરકારી નિયમો અનુસાર, માતા-પિતા કયા હોદ્દા પર કાર્યરત છે તે ખૂબ મહત્વનું છે.
ઉદાહરણ તરીકે, જો માતા કે પિતા બંધારણીય પદ પર હોય, અથવા તેઓ સરકારી નોકરીમાં સીધા ગ્રુપ-એ (Group-A) સેવામાં હોય, કે ગ્રુપ-બી (Group-B) ની ઉચ્ચ વહીવટી સેવાઓમાં હોય, તો તેમનો પરિવાર ઓટોમેટિક ક્રીમી લેયરમાં ગણાય છે. આવા કિસ્સાઓમાં આવક ઓછી હોય તો પણ વહીવટી દરજ્જાના કારણે બાળકો અનામતની શ્રેણીમાંથી બહાર થઈ જાય છે.
સરકારી નોકરીઓ સિવાય ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ કે વેપારીઓ માટે સુપ્રીમ કોર્ટના એડવોકેટ અશ્વની કુમાર દૂબે જણાવે છે કે અદાલતે પહેલેથી જ સ્પષ્ટ વ્યવસ્થા કરી રાખી છે. જે પરિવારોની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કે તેથી વધુ છે, તેઓ આર્થિક રીતે સક્ષમ ગણાય છે. આવા પરિવારો ઈડબલ્યુએસ (EWS) કે ઓબીસી અનામતના આર્થિક લાભ મેળવવા માટે પાત્ર ઠરતા નથી.
આ કાનૂની ચર્ચા દરમિયાન એ પણ સામે આવ્યું છે કે EWS (આર્થિક રીતે નબળો વર્ગ) અને OBC ક્રીમી લેયર બંનેના માપદંડો અલગ છે. EWS અનામતનો આધાર સંપૂર્ણપણે આર્થિક એટલે કે ગરીબી પર આધારિત છે. જ્યારે ઓબીસી અનામત માત્ર ગરીબી પર નહીં, પણ સામાજિક અને શૈક્ષણિક પછાતપણા સાથે જોડાયેલી બાબત છે, જેથી આ નિયમો વધુ જટિલ બને છે.
સુપ્રીમ કોર્ટના આ સવાલોને કારણે આવનારા સમયમાં ક્રીમી લેયરના નિયમો વધુ કડક બને તેવી શક્યતા છે. જો આ નિયમોમાં વધુ સ્પષ્ટતા લાવવામાં આવે, તો તેનો સીધો ફાયદો ઓબીસી કેટેગરીના એવા ગરીબ અને નાના સમુદાયો સુધી પહોંચશે જેઓ હજુ પણ ગામડાઓમાં મર્યાદિત તકો વચ્ચે જીવી રહ્યા છે. જોકે, આ મુદ્દે સામાજિક ચિંતકોના બે પક્ષ છે; એક પક્ષનું કહેવું છે કે સક્ષમ પરિવારોને બહાર કરવા જ જોઈએ, જ્યારે બીજો પક્ષ માને છે કે સામાજિક ભેદભાવ માત્ર પૈસા કે નોકરી મળવાથી સમાપ્ત થતો નથી. અદાલત આ મામલે આગળ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.