છત્તીસગઢ (Chhattisgarh) રાજ્યની રાજધાની રાયપુરથી (Raipur) 420 કિમી દૂર બલરામપુર જિલ્લાના રાજપુર ખાતે તેમના મતવિસ્તારમાં જાહેર અભિયાન દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલેએ (Bhupesh Baghel) આ જાહેરાત કરી હતી. ધોરણ 10 અને 12, આમ બંને બોર્ડ પરીક્ષાઓમાં જિલ્લાવાર ટોપર્સને રાજ્ય સરકાર દ્વારા હેલિકોપ્ટર સવારી સાથે પુરસ્કાર પણ આપવામાં આવશે, તેવું બઘેલે જણાવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર હેલિકોપ્ટર રાઈડ આપવામાં આવશે, એમ તેમણે આગળ જણાવ્યું હતું.
“હવાઈ મુસાફરી એ દરેકની ઈચ્છા હોય છે. હું માનું છું કે હેલિકોપ્ટર સવારી બાળકોના મનમાં જીવનના આકાશમાં ઊંચે ઉડવાની ઈચ્છા જગાડશે અને તેઓ તેમના ધ્યેયને હાંસલ કરવા માટે તેમની કુશળતાને વધુ તીક્ષ્ણ બનાવશે,” મુખ્યમંત્રીએ આગળ કહ્યું હતું.
10वीं और 12 वीं में टॉप करने वाले विद्यार्थियों को सरकार हेलीकॉप्टर राइड कराएगी।
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 5, 2022
બઘેલે વધુમાં જણાવ્યું હતું કે, બુધવારે સામરી વિધાનસભા મતવિસ્તારમાં 3 આત્માનંદ અંગ્રેજી માધ્યમની શાળાઓની મુલાકાત દરમિયાન, તેમને સમજાયું હતું કે વિદ્યાર્થીઓમાં ઘણી પ્રતિભા છે, પરંતુ તેમને પ્રેરણાની જરૂર છે.
“મને પૂરો વિશ્વાસ છે કે જો અમારા વિદ્યાર્થીઓને કંઈક અનોખી પ્રેરણા મળે, અને જો તેમના માટે અનોખો પુરસ્કાર નક્કી કરવામાં આવે, તો તેમની સફળ થવાની ઈચ્છા પણ વધશે. રાજ્ય અને જિલ્લા કક્ષાના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ટોચના 10 તેજસ્વી વિદ્યાર્થીઓને રાયપુરમાં આમંત્રિત કરીને હેલિકોપ્ટર સવારી આપવામાં આવશે.” તેમણે આગળ કહ્યું હતું.
બઘેલે બુધવારે એટલે કે ગત તા. 04/05/2022ના રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા બલરામપુર જિલ્લામાંથી તેમના મતવિસ્તાર મુજબની જાહેર વાર્તાલાપ અભિયાનની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ અભિયાનના ભાગરૂપે રાજ્યના તમામ 90 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેશે અને દરેક વિભાગના ઓછામાં ઓછા 3 ગામોની ઓચિંતી મુલાકાત લેશે.
છત્તીસગઢ બોર્ડની 10મીની પરીક્ષા ગત તા. 3 માર્ચથી 23 માર્ચ અને ધોરણ 12મીની પરીક્ષા ગત તા. 2 માર્ચથી 30 માર્ચ દરમિયાન યોજાઈ હતી. ધોરણ 12માં 2,93,685 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. તે જ સમયે, ધોરણ 10ની વાત કરીએ તો, 3,80,027 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.