રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોના સામુહીક રાજીનામાની ઘટનાથી નારાજ સોનિયા, અજય માકનને ધારાસભ્યો સાથે વાત કરવા આદેશ, ગેહલોતના વલણથી હાઈકમાન્ડ઼ ચોક્યું

TV9 GUJARATI

|

Updated on: Sep 26, 2022 | 6:52 AM

કેસી વેણુગોપાલે અશોક ગેહલોતને પરિસ્થિતિ સંભાળવા કહ્યું, પરંતુ તેમણે કહ્યું કે હવે તેમના હાથમાં કશુ નથી. તો બીજી બાજુ રાજસ્થાનના પ્રધાન, પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ કે, પાર્ટી અમારી વાત સાંભળતી નથી, નિર્ણય આપોઆપ લેવામાં આવે છે.

રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોના સામુહીક રાજીનામાની ઘટનાથી નારાજ સોનિયા, અજય માકનને ધારાસભ્યો સાથે વાત કરવા આદેશ, ગેહલોતના વલણથી હાઈકમાન્ડ઼ ચોક્યું
ajay maken, Congress

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલથી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ખૂબ નારાજ છે. નિરીક્ષક તરીકે જયપુર પહોંચેલા કોંગ્રેસના નેતા અજય માકને (Ajay Maken) કહ્યું કે અમે અત્યારે દિલ્લી નથી જઈ રહ્યા. અમને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો સાથે રૂબરૂ વાતચીત કરવા સૂચના આપવામાં આવી છે. અમે આજે તમામ ધારાસભ્યોને મળીશું. અજય માકને કહ્યું કે અમારી સાથે આવેલા અન્ય નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગે પણ ધારાસભ્યો સાથે વાત કરશે. કોંગ્રેસ હાઈકમાન્ડે નિરીક્ષકોને કહ્યું છે કે ભલે આખી રાત બેસી રહેવું પડે પરંતુ આજે જ મામલો ઉકેલી લો.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં સત્તાની ચાવી હજુ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે છે. હવે જ્યારે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને તેઓ પ્રમુખ પદ પર બેઠા હોવાનું ચિત્ર પણ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ અન્ય નેતાના હાથમાં સત્તા સોંપવા ઈચ્છે છે. રાજ્ય આમાં બે નામ મુખ્ય રીતે આવ્યા હતા. પહેલું નામ અશોક ગેહલોતના કટ્ટર વિરોધી સચિન પાયલટનું છે અને બીજું નામ વિધાનસભાના અધ્યક્ષ ડૉ.સી.પી. જોશીનું છે.

કાવતરાખોરોને સત્તાની ચાવી સોંપાઈ રહી છે – ગેહલોત જૂથ

કહેવામાં આવી રહ્યું છે કે હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. જેને લઈને રવિવારે સાંજે 7 વાગે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના નેતા સચિન પાયલોટની સાથે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા જ અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોએ બળવો કર્યો હતો. ધારાસભ્યએ કહ્યું કે જેમણે ભાજપ સાથે મળીને રાજસ્થાનમાં સત્તા ગબડાવવાનું ષડયંત્ર રચ્યું હતું, હવે હાઈકમાન્ડ તેમને સત્તા સોંપવા માંગે છે. અમારી પાસેથી કોઈ સલાહ, માર્ગદર્શન લેવામાં આવ્યુ નથી.

વિધાનસભા અધ્યક્ષ ડૉ.સી.પી.જોશીને રાજીનામું સુપરત કર્યું

આના વિરોધમાં અશોક ગેહલોત જૂથના તમામ 92 ધારાસભ્યો બસમાં સવાર થઈને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સીપી જોશીના નિવાસસ્થાને પહોંચ્યા અને પોતાના રાજીનામા સુપરત કર્યા. ધારાસભ્યોના રાજીનામાના સમાચાર મળતા જ કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય થઈ ગયું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડની સૂચના પર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે પૂછ્યું કે રાજ્યમાં આવી સ્થિતિ કેમ સર્જાઈ રહી છે. આ અંગે અશોક ગેહલોતે કહ્યું કે આ ધારાસભ્યોની લાગણી છે. હું શું કહી શકું? કેસી વેણુગોપાલે અશોક ગેહલોતને પરિસ્થિતિ સંભાળવા કહ્યું, પરંતુ તેમણે કહ્યું કે હવે તેમના હાથમાં કશુ નથી.

પાર્ટી અમારી વાત સાંભળતી નથી, આપોઆપ નિર્ણયો લેવાય છે

રાજીનામું આપનાર અશોક ગેહલોત જૂથના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે સરકાર પડી નથી. જો અમારા પરિવારના વડા (અશોક ગેહલોત) અમારી વાત સાંભળે તો નારાજગી દૂર થઈ જશે. લોકશાહી સંખ્યાઓ પર ચાલે છે. રાજસ્થાનના ધારાસભ્યો જેની સાથે હશે, નેતા પણ એ જ હશે. મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે તમામ ધારાસભ્યો ગુસ્સે ભરાયા છે. ધારાસભ્યો નારાજ એટલા માટે છે કે સીએમ અશોક ગેહલોત તેમની સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય કેવી રીતે લઈ શકે ? મંત્રી પ્રતાપ સિંહ ખાચરીયાવાસે કહ્યું કે 100 થી વધુ ધારાસભ્યો એક તરફ છે અને 10-15 ધારાસભ્યો એક તરફ છે. 10-15 ધારાસભ્યોનો અવાજ સાંભળવામાં આવશે અને બાકીના નહીં. પાર્ટી અમારી વાત સાંભળતી નથી, નિર્ણય આપોઆપ લેવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati