પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા (Sidhu Moosewala Murder Case) બાદ પંજાબનું રાજકારણ ગરમાયું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શુક્રવારે ગાયકના પરિવારના સભ્યોને મળ્યા હતા, તેના એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ મળ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આજે ચંદીગઢમાં છે અને મુસેવાલાના પરિવારના સભ્યો તેમને મળ્યા છે અને હત્યા કેસની સીબીઆઈ તપાસની માગ કરી છે. સિંગર મુસેવાલાના પરિવારે ચંદીગઢ ઓલ્ડ એરપોર્ટ પર અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુસેવાલાના માતા-પિતા શાહને મળવા આવ્યા હતા.
Punjabi singer Sidhu Moose Wala’s family met Union Home Minister Amit Shah in Chandigarh.
Sidhu Moose Wala was killed by unknown assailants in Mansa district on 29th May pic.twitter.com/uYBWxNHWRJ
— ANI (@ANI) June 4, 2022
અગાઉ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન શુક્રવારે ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી તેમના નિવાસસ્થાને ગયા હતા અને શોકગ્રસ્ત પરિવારને સંવેદના આપી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મુસેવાલાના પરિવારજનોને રાજકારણીઓ સાથે મળવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સીએમ માન સવારે લગભગ 10 વાગે મુસા ગામમાં મુસેવાલાના ઘરે પહોંચ્યા અને લગભગ એક કલાક સુધી પરિવાર સાથે રહ્યા હતા. માનની મુલાકાતને ધ્યાનમાં રાખીને મુસેવાલાના ઘરની બહાર પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાત પહેલા, સ્થાનિક લોકોએ પંજાબ પોલીસને કથિત રીતે મુસા ગામમાં પ્રવેશતા અટકાવવા બદલ વિરોધ પ્રદર્શન કર્યું.
જોકે, પોલીસે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ગામમાં પ્રવેશતા કોઈને રોકવામાં આવ્યા નથી. સીએમ માનની મુલાકાત પહેલા મુસેવાલાના ઘરે પહોંચેલા શાસક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત સિંહને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ માન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના પંજાબ એકમના નેતા જગજીત સિંહ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ગયા અને ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની સીબીઆઈ તપાસની વિનંતી કરી. જગજીત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસેવાલાની હત્યામાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનેગારોની સંડોવણી હોવાની આશંકા છે, તેથી આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસેથી તપાસ કરાવવાની પણ માગ કરવામાં આવી છે.