Big Breaking : બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવનાર શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, જુઓ Video

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરાઈ. ઉત્તર 24 પરગણામાં તેમની કાર રોકી હુમલાખોરોએ ફાયરિંગ કર્યું.

Big Breaking : બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવનાર શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, જુઓ Video
| Updated on: May 07, 2026 | 12:31 AM

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બુધવારે મોડી સાંજે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. હુમલાખોરોએ રસ્તા વચ્ચે તેમની કાર રોકી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથ રથ અને તેમના ડ્રાઇવર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ચંદ્રનાથ રથનું મોત થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, ચંદ્રનાથ રથની કારનો અન્ય એક વાહન દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારને ઓવરટેક કરી જબરદસ્તી રોકાવી અને ત્યારબાદ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી ચંદ્રનાથ રથના માથા અને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ માટે વિશેષ ટીમો પણ બનાવી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ શુભેન્દુ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથ રથના મોતની પુષ્ટિ કરી હતી. ભાજપે આ હુમલાને રાજકીય સડયંત્ર ગણાવી તૃણમૂલ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા વધતી જઈ રહી છે અને આ હુમલો પણ તેની જ એક કડી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી બાદ અનેક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે જ દક્ષિણ 24 પરગણાના નારાયણપુર વિસ્તારમાં પણ ભારે તણાવ જોવા મળ્યો હતો. અહીં પોલીસ અને કેન્દ્રીય દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ચંદ્રનાથ રથની હત્યાને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ તેજ બન્યો છે. હાલમાં પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

Published On - 12:27 am, Thu, 7 May 26

Follow Us