મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં, 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા આઠ વર્ષના તન્મયને બચાવવાની લડાઈ 60 કલાકથી ચાલી રહી છે. જમીનમાંથી નીકળતા પાણી અને ખડકોને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બોરવેલમાંથી તન્મયને કાઢવા માટે બોરની સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. 8 ફૂટ સુધીની ટનલ બનાવવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરંગ હજુ 4 ફૂટની બનવાની બાકી છે, પરંતુ તન્મય તરફથી કોઈ જવાબ ન મળવાથી ચિંતા વધી ગઈ છે.
સુરંગ બનાવવા માટે પથ્થર અને જમીનમાંથી નીકળી રહેલા પાણીના કારાણે સમસ્યા થઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ જણાવ્યું છે કે, રેસ્ક્યુ ઓપરેશન પુર્ણ થવાને માત્ર 4 કલાકનો સમય લાગી શકે છે. રેસ્ક્યુ ઓપરેશનમાં દેખરેખ રાખી રહેલા હોમગાર્ડે કમાન્ડર એસઆર આઝીમે જણાવ્યું કે, બોરવેલમાં તન્મય 39 ફીટ પર ફસાયો છે. બાળકની નોર્મલ હાઈટ 4 થી 5 ફુટની માની ખાડો ખોદવામાં આવી રહ્યો છે. ટનલ બનાવવામાં એનડીઆરએફ અને એસડીઆરએફના 61 જવાન કામે લાગ્યા છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે બની હતી. તન્મય મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે બોરવેલમાં પડી ગયો હતો. બેતુલ જિલ્લા મેજિસ્ટ્રેટ અમનબીર સિંહ બેન્સે કહ્યું કે તન્મયને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લાઅધિકારીઓ, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર છે. ડીએમએ કહ્યું કે તન્મય સુધી પહોંચવા માટે સમાંતર ટનલ બનાવવામાં આવી રહી છે.
હાલમાં રેસ્ક્યુ ઓપરેશનને 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તન્મયને હજુ સુઘી બહાર કાઢવામાં ટીમ સફળ રહી નથી. બીજી તરફ કલેક્ટર અમનબીર સિંહ બેન્સનું કહેવું છે કે, તન્મય કોઈ જવાબ નથી આપી રહ્યો. તે લગભગ 39 ફૂટની ઉંડાઈમાં ફસાઈ ગયો છે. તન્મયને સિલિન્ડર દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને પ્રશાસન તેની દરેક મુવમેન્ટ પર નજર રાખી રહ્યું છે.
તન્મયની સલામતી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આખા ગામમાં લોકો પુજા-અર્ચના કરી તેની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. તેની સાથે અભ્યાસ કરનારા બાળકો માંડવીના ગાયત્રી મંદિરમાં ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યા છે.