
દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે. UPIએ વ્યવહારોને વધુ સરળ બનાવ્યા છે પરંતુ હવે એક ચોંકાવનારો વિરોધાભાસ સામે આવ્યો છે. એક તરફ દેશમાં રોકડ નાણાનો જથ્થો રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, તો બીજી તરફ અનેક ATMમાં રોકડની અછત સર્જાઈ રહી છે. ATMમાંથી પૈસા ઉપાડવા જતાં લોકોને વારંવાર નિરાશ થવું પડે છે.
ભારતમાં ડિજિટલ ક્રાંતિએ લોકોની જીવનશૈલી બદલી નાખી છે. નાના વેપારીથી લઈને મોટા મોલ સુધી, હવે મોટાભાગના વ્યવહારો UPI અને ઓનલાઈન પેમેન્ટથી થઈ રહ્યા છે. જો કે, આ બદલાવની વચ્ચે ATM ઉદ્યોગ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકના તાજા આંકડાઓ અનુસાર, 29 મે 2026 સુધી દેશમાં ચલણમાં રહેલી રોકડ રકમ 42.56 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 12 ટકા વધારે છે. આમ જોઈએ તો, દેશમાં રોકડની કોઈ કમી નથી છતાંય ATM સુધી રોકડ પહોંચાડવામાં મુશ્કેલીઓ વધી રહી છે.
ATM ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા CATMiએ ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનને લખેલા પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, ATMમાં રોકડ ભરવા માટે મળતી કેશ સપ્લાય સતત ઘટી રહી છે.
નવેમ્બર 2025માં ATM ઓપરેટરોને જરૂરિયાતના 80 ટકા જેટલી રોકડ મળતી હતી. માર્ચ 2026માં ખાધ વધીને 36 ટકા થઈ ગઈ અને એપ્રિલમાં તો 43 ટકા સુધી પહોંચી ગઈ. ટૂંકમાં, ATM સંચાલકોને તેમની જરૂરિયાતની માત્ર 57 ટકા રોકડ જ ઉપલબ્ધ થઈ રહી હતી. સંસ્થાનું કહેવું છે કે, બેન્ક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાંથી ATM સુધી રોકડ પહોંચાડવામાં અનેક રાજ્યોમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ATMમાં રોકડની સમસ્યાનું એક મોટું કારણ ડિજિટલ પેમેન્ટનું વધતું પ્રભુત્વ પણ છે. CATMiના આંકડા મુજબ જાન્યુઆરી 2023માં દર મહિને ATMમાંથી લગભગ 57 કરોડ વખત રોકડ ઉપાડવામાં આવતી હતી. જો કે, સપ્ટેમ્બર 2025 સુધી આ સંખ્યા ઘટીને 44 કરોડ સુધી આવી ગઈ.
UPI અને અન્ય ડિજિટલ વિકલ્પોના કારણે લોકો ATMનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ATM સંચાલકોની આવકમાં ઘટાડો થયો છે. બીજી તરફ ATM ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ઇંધણના વધતા ભાવ, કેશ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓના વેતન જેવી બાબતો ઓપરેટરો પર વધારાનો આર્થિક બોજ લાવી રહી છે.
આ સમગ્ર મુદ્દે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી કે, રિઝર્વ બેંક દર વર્ષે ચલણની જરૂરિયાતનો અંદાજ લગાવે છે અને બેંકોને જરૂરી રોકડ ઉપલબ્ધ કરાવે છે. તેમણે કહ્યું કે, જો ક્યાંય રોકડની અછત સર્જાય તો RBI ઝડપથી જરૂરી વ્યવસ્થા કરશે. ATM અને બેન્ક શાખાઓમાં રોકડની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે પૂરતી કેશ ઉપલબ્ધ કરાવવામાં આવશે.