Rajasthan schools Reopening: છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના સંક્રમણ (Corona Cases) ઘટતુ જોવા મળી રહ્યુ છે,જેને પગલે ઘણા રાજ્યમાં ફરીથી શાળાઓ ખોલવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ બાદ હવે રાજસ્થાન સરકારે પણ શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનમાં (Rajasthan)1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 અને ધોરણ 6થી 9 માટે 10 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે. સરકારે નવી કોવિડ માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ હશે. આ સાથે અન્ય ઘણા પ્રતિબંધોમાંથી પણ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં બજારો, અન્ય વ્યવસાયિક સંસ્થાઓ હવે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા જતા કેસને જોતા રાજસ્થાનમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) અભય કુમાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, વિદ્યાર્થીઓએ વાલીની લેખિત સંમતિ મેળવવી ફરજિયાત રહેશે, તે બાદ વિદ્યાર્થીને શાળા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. સુધારેલી માર્ગદર્શિકા મુજબ, સમગ્ર રાજ્યમાં દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
આ સાથે તમામ પ્રકારના મેળાવડા માટે લોકોની મહત્તમ સંખ્યા 100 સુધી મર્યાદિત કરી છે. નવી માર્ગદર્શિકા 31 જાન્યુઆરીથી લાગુ થશે અને આગામી આદેશો સુધી અમલમાં રહેશે. તમને જણાવી દઈએ કે, તામિલનાડુ સરકારે પણ 1 ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાના કેસને જોતા રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને (Education Institute) ફરીથી ખોલવાના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં ઘણા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે એડવાઈઝરી પણ જાહેર કરે તેવી શક્યતા છે. જો કે, તે રાજ્યોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ શાળાઓ ખોલવા માટે તૈયાર છે કે નહીં. કેન્દ્ર કોવિડ-19 પ્રોટોકોલના કડક પાલન હેઠળ શાળાઓ ફરીથી ખોલવા માગે છે.
આ પણ વાંચો : હાલમાં NeoCov વાયરસ મનુષ્યમાં ફેલાવાનું જોખમ નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર, જાણો શું કહી રહ્યા છે વૈજ્ઞાનિકો?
આ પણ વાંચો : દેશમુખની વધી મુશ્કેલી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવે ED સમક્ષ અનિલ દેશમુખને લઈને કર્યો મોટો ખુલાસો