Punjab Corona Update : કોરોનાનું સક્રમણ વધતા પંજાબમાં રાત્રી કરફ્યું 10 એપ્રિલ સુધી લંબાવાયું, સ્કુલ-કોલેજ બંધ, જેલમાં થશે રસીકરણ
Punjab Corona Update : મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે મંગળવારે કોરોનાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને 10 એપ્રિલ સુધી વધારવાનો આદેશ આપ્યો છે.
Punjab Corona Update :ઉત્તર ભારતમાં પંજાબમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. સોમવારે પંજાબમાં કોરોના વાયરસના 2914 નવા કેસ નોંધાયા હતા અને 59 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. પંજાબમાં કોરોનાનો યુકે સ્ટ્રેન આવ્યાં બાદ કોરોનાનું સંક્રમણ અને કોરોનાથી મૃત્યુ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે મંગળવારે કોરોનાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને 10 એપ્રિલ સુધી વધારવાનો આદેશ આપ્યો છે. આ સાથે આરોગ્ય વિભાગને રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવા પણ કહેવામાં આવ્યું છે.
રાત્રી કરફ્યું 10 એપ્રિલ સુધી લંબાવાયું રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાની સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાને કહ્યું કેપંજાબમાં 31 માર્ચ સુધીમાં જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે 10 એપ્રિલ સુધીમાં બધામાં લંબાવી દેવા જોઈએ અને તે પછી ફરીથી તેની સમીક્ષા કરવામાં આવશે. અગાઉ 18 માર્ચે પંજાબમાં રાત્રિ કરફ્યુંમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. પંજાબમાં લુધિયાણા, પટિયાલા, મોહાલી, જલંધર, કપૂરથલા, રોપર, અમૃતસર, ફિરોઝપુર અને ફતેહગઢ સાહિબમાં રાત્રી કરફ્યું લંબાવાયો હતો. મુખ્યપ્રધાને કહ્યું હતું કે જે જિલ્લાઓમાં કોરોનાના 100થી વધુ કેસ છે, ત્યાં રાત્રી કરફ્યું લાગુ રહેશે.
10 એપ્રિલ સુધી સ્કુલ કોલેજો રહેશે બંધ પંજાબમાં રાત્રી કરફ્યું લંબાવવાની સાથે જ રાજ્યમાં તમામ સ્કુલ-કોલેજો 10 અપ્રિલ સુધી બંધ રહેશે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગત 19 માર્ચે મુખ્યપ્રધાને નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં 31 માર્ચ સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા સૂચનાઓ પણ આમાં સામેલ કરવામાં આવી હતી. આની સાથે સિનેમા હોલની ક્ષમતાને 50% સુધી મર્યાદિત કરી દેવામાં આવી હતી. આ તમામ પ્રતિબંધોને 10 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યાં છે.
હવે જેલમાં પણ થશે રસીકરણ કેપ્ટને મુખ્ય સચિવ વિની મહાજનને રાજ્યમાં ટેસ્ટની સંખ્યા વધારવા અને ગીચ વિસ્તારોમાં રસીકરણ શરૂ કરવા જરૂરી સૂચનો આપવા જણાવ્યું હતું. રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે સ્થળોની ઓળખ કરવા પણ કહ્યું હતું જ્યાં મોબાઇલ કોવિડ રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરી શકાય છે. જેમ કે, પોલીસ લાઇનો, કોલેજો, યુનિવર્સિટીઓ, મોટા ઔદ્યોગિક એકમો, બસ સ્ટેન્ડ્સ, રેલ્વે સ્ટેશન, પંજાબ રોડવેઝ બસ ડેપો વગેરે.નાભા ઓપન જેલમાં 40 મહિલાઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળતાં મુખ્યમંત્રીએ જેલોમાં કેદીઓ માટે ખાસ રસીકરણ ડ્રાઇવનો આદેશ આપ્યો છે.