વિપક્ષ હજુ સુધી રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 (Presidential Election 2022) માટે પોતાનો ઉમેદવાર પસંદ કરી શક્યું નથી. વિપક્ષની આ મૂંઝવણ હવે દૂર થઈ શકે છે, કારણ કે મંગળવારે 17 વિપક્ષી પાર્ટીઓની ફરી બેઠક થશે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાથી બધાની નજર હવે મહાત્મા ગાંધીના પૌત્ર અને ભૂતપૂર્વ રાજદ્વારી ગોપાલકૃષ્ણ ગાંધી (Gopalkrishna Gandhi) પર છે. બે વરિષ્ઠ કોંગ્રેસ અને ડાબેરી નેતાઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સંસદ ભવનમાં યોજાનારી બેઠક પહેલા સર્વસંમતિ ઉમેદવારને સુરક્ષિત કરવા માટે વિરોધી પક્ષોમાં આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે.
15 જૂને યોજાયેલી છેલ્લી બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના પોતાના ઉમેદવારી અંગે, ગોપાલકૃષ્ણ ગાંધીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, મને પૂછવામાં આવ્યું હતું કે જો મારા નામ પર સર્વસંમતિ થાય તો હું ચૂંટણી લડવાનું વિચારીશ અને મેં કહ્યું કે મારી પાસે તેના વિશે વિચારવાનો સમય હશે. તેમણે 2017 માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વેંકૈયા નાયડુ સામે લડી હતી, પરંતુ જીતવામાં નિષ્ફળ ગયા.
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડવા માટે બેનર્જી દ્વારા 15 જૂને દિલ્હીમાં બોલાવવામાં આવેલી આવી પ્રથમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખનાર એક સામાન્ય ઉમેદવાર વિપક્ષનો ઉમેદવાર હશે. આ બેઠકમાં લગભગ 17 પક્ષોએ ભાગ લીધો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને ડાબેરી પક્ષોના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP), તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), શિરોમણિ અકાલી દળ (SAD), AIMIM અને બીજુ જનતા દળ (BJD) એ તેનાથી અંતર રાખવાનું યોગ્ય માન્યું.
શિવસેના, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી (સીપીઆઈ-એમ), સીપીઆઈ-એમએલ, નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), જનતા દળ (સેક્યુલર), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (આરએસપી), ભારતીય યુનિયન મુસ્લિમ લીગ, રાષ્ટ્રીય લોકદળ અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થાય છે અને તેમના અનુગામી માટે 18 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સહિત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે.
Published On - 1:24 pm, Mon, 20 June 22