વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને (PM Modi birthday) હવે ગણતરીના દિવસો બાકી છે. 17 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા વડાપ્રધાન મોદી આ વર્ષે પોતાનો 72મો જન્મદિવસ ઉજવશે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ (BJP) તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓ પોતાના નેતાના જન્મદિવસને ખાસ બનાવવા માંગે છે. જે અંતર્ગત ભાજપ આખા દેશમાં બૂથ સ્તર પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ‘સેવા પખવાડિયા’ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે. આખા દેશમાં આ જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જંયતી 2 ઓક્ટોમ્બર સુધી ભાજપના કાર્યકર્તા ભારતના દરેક જિલ્લામાં જઈ સમાજ સેવાનું કામ કરશે. તેઓ સમાજ સેવા સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરશે. આ આયોજન હેઠળ તેઓ સામાન્ય જનતા સાથે સંવાદ કરીને તેમની ફરિયાદોનું નિરાકરણ કરી, તેમની મદદ કરશે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રુપે થઈ રહેલા ‘સેવા પખવાડિયા’ દરમિયાન દેશના દરેક બૂથ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે ભાજપ દેશના તમામ જિલ્લામાં નિશુલ્ક સ્વાસ્થ્ય શિક્ષણ શિબિર અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે. તમામ જિલ્લામાં દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવશે.
તેની સાથે સાથે ભાજપના કાર્યકર્તા અને નેતાઓ દેશના તમામ જિલ્લામાં કોવિડ રસીકરણ સેન્ટર પર જઈ સેવાનું કાર્ય કરશે. તમામ જિલ્લાઓમાં 2 દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આવા અનેક ખાસ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવામાં આવશે. વર્ષ 2025 સુધી ટીબી મુક્ત ભારતના લક્ષ્ય માટે ભાજપના કાર્યકર્તાઓ એક વર્ષ સુધી ટીબીના દર્દીને ભોજન, પોષણ અને આજીવિકાના સંબંધમાં પોતાનું યોગદાન આપશે.
જનતા સાથે સીધા સંપર્ક માટે ભાજપા દેશભરમાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘જળ જ જીવન’ હેઠળ લોકોમાં જાગરુકતા અભિયાન ચલાવશે. તેની સાથે સાથે દેશના તમામ જીલ્લામાં ભારતની ‘વિવિધતામાં એકતા’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો સંદેશ સમાજને આપવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આવા અનેક કાર્યક્રમો દ્વારા ભાજપ વડાપ્રધાન મોદીના જન્મદિવસને ખાસ બનાવવાનો પ્લાન બનાવી રહી છે.