Jan Aushadhi Diwas: પીએમ મોદી આવતીકાલે જન ઔષધિ કેન્દ્રના માલિકો અને લાભાર્થીઓ સાથે કરશે વાત, દેશના દરેક બ્લોકમાં કેન્દ્રો ખોલવાનું છે લક્ષ્ય
જન ઔષધિ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે 1 થી 7 માર્ચ સુધી દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે પીએમ મોદી દેશભરના જન ઔષધિ કેન્દ્રોના માલિકો સાથે વાતચીત કરશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય દરેક બ્લોકમાં એક જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું છે.
સમગ્ર દેશમાં દર વર્ષે 7મી માર્ચે જન ઔષધિ દિવસ (Jan Aushadhi Diwas) ઉજવવામાં આવે છે. પીએમઓએ જણાવ્યું કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જન ઔષધિના લાભાર્થીઓ તેમજ જન ઔષધિ કેન્દ્રના માલિકો સાથે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. ત્યારબાદ પીએમનું સંબોધન થશે. કેન્દ્ર સરકાર દેશવાસીઓ માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાને (Health Care) સસ્તી અને પરવડે તેવી બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ દ્વારા લોકોમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓને લોકપ્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યા છે. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જન ઔષધિ દિવસનો મુખ્ય કાર્યક્રમ 7મી માર્ચે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા ઉપસ્થિત રહેશે.
જન ઔષધિ કેન્દ્રનું વર્ણન કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, બધાને સસ્તી દવાઓ પૂરી પાડવા માટે ભારતમાં લગભગ 8,600 જન ઔષધિ કેન્દ્રો ચાલી રહ્યાં છે. તેને પ્રોત્સાહન આપવા માટે 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાંથી લાખો લોકો સસ્તા ભાવે દવાઓ ખરીદે છે. તેમણે જેનેરિક દવાઓના ઉપયોગ અંગે વધુ પ્રોત્સાહન આપવા અને જાગૃતિ લાવવાની વાત કરી હતી.
જન ઔષધિ પ્રોજેક્ટ વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે
ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરીને ચોથા જન ઔષધિ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ વર્ષના ચોથા જન ઔષધિ દિવસની થીમ ‘જન ઔષધિ – જન ઉપયોગી’ રાખવામાં આવી છે. આનાથી જેનરિક દવાઓના ઉપયોગ અને જન ઔષધિ પ્રોજેક્ટના ફાયદા વિશે જાગૃતિ આવશે.
1 જુલાઈ 2015થી થઈ જન ઔષધિ યોજનાની શરૂઆત
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જનઔષધિ યોજના એ 1 જુલાઈ, 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ એક વિશેષ યોજના છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ બજાર કિંમત કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા ‘જન ઔષધિ સ્ટોર્સ’ની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાનું લક્ષ્ય દેશના દરેક બ્લોકમાં ઓછામાં ઓછું એક PMBJP કેન્દ્ર ખોલવાનું છે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પામ ઓઈલના ભાવ આસમાને પહોચ્યા, જથ્થાબંધ ભાવમાં રેકોર્ડ 400 ડોલર પ્રતિ ટનનો વધારો થયો