Breaking News : લોકસભામાં ગઇકાલે ન બોલી શક્યા PM નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ખૂલીને બોલ્યા, મહોબ્બતની દુકાન પર શું કહ્યું જુઓ..

લોકસભામાં ગઇકાલે હંગામાના કારણે બોલી ન શકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં બોલ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ન થવા દેવી એ એક આદિવાસી પરિવારથી આવેલી દેશની રાષ્ટ્રપતિનો અપમાન છે.

Breaking News : લોકસભામાં ગઇકાલે ન બોલી શક્યા PM નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ખૂલીને બોલ્યા, મહોબ્બતની દુકાન પર શું કહ્યું જુઓ..
| Updated on: Feb 05, 2026 | 6:41 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ‘વિકસિત ભારત’ના પોતાના વિઝન વિશે વાત કરી. તેમણે દેશની યુવા શક્તિ, મજબૂત અર્થવ્યવસ્થા અને વૈશ્વિક નેતૃત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વના અનેક દેશો માટે વિશ્વસનીય ભાગીદાર બની ગયું છે. વિરોધ પક્ષના હંગામા વચ્ચે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી રહી છે.

સરકારે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું

પ્રધાનમંત્રીએ બોલવાનું શરૂ કરતાં જ રાજ્યસભામાં વિરોધ પક્ષે હંગામો શરૂ કર્યો. આ પર તેમણે અધ્યક્ષને કહ્યું કે ખડગે જીને પોતાની બેઠક પરથી બોલીને નારા લગાવવાની મંજૂરી આપી દો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીનો પહેલો ક્વાર્ટર પૂર્ણ થઈ ગયો છે અને બીજો ક્વાર્ટર દેશ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. વિકસિત ભારતના નિર્માણ માટે આ સમયગાળો ઝડપથી આગળ વધશે. દેશના દરેક નાગરિકને લાગે છે કે ભારત એક મહત્વના મોરચે પર ઉભું છે અને હવે અટકવાનું નથી, પાછળ વળવાનું નથી.

તેમણે જણાવ્યું કે આજના સમયમાં ભારતને અનેક શુભ સંયોગો મળ્યા છે. વિશ્વના મોટા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે જ્યારે ભારત યુવાન દેશ તરીકે વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા પ્રતિભા છે, જેમાં સપના પણ છે અને ક્ષમતા પણ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વમાં ઉભી થતી અનેક પડકારોને ઉકેલવાની ક્ષમતા આજે ભારત પાસે છે. ભારતની વૃદ્ધિ દર ઊંચી છે અને મોંઘવારી નિયંત્રિત છે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.

 

‘મહોબ્બતની દુકાન ખોલવાની વાતો કરનારા આજે મોદીની કબર ખોદવાની વાત કરે છે’ : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને જે જવાબદારી મળી છે, અને ભલે મને ન મળી હોત તો પણ, દેશ માટે કામ કરવાનું મારું કર્તવ્ય છે. એક તરફ હું દેશ માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યો છું, જ્યારે બીજી તરફ કોંગ્રેસ મોદી સામે નફરત ફેલાવવાનું અને ‘મોદીની કબર ખોદવાની’ ભાષા વાપરી રહી છે.

મહોબ્બતની દુકાન ખોલવાની વાતો કરનારા આજે મોદીની કબર ખોદવાની વાત કરે છે. આ લોકો કયા બંધારણથી શીખ્યા છે કે દેશના એક નાગરિક માટે આવી ભાષાનો ઉપયોગ કરે છે? જાહેર જીવનમાં આવી વાતો શોભતી નથી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંસદનું એક પણ સત્ર એવું ગયું નથી જેમાં મોદીને ગાળો આપવામાં ન આવી હોય. આ તેમની અંદર ભરેલી નફરતનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.

ભારત તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત

તેમણે કહ્યું કે દુનિયા એક નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી છે અને ભારત તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ગ્લોબલ સાઉથ માટે ભારત આજે મજબૂત અવાજ બની ગયું છે. અનેક દેશો સાથે ભારત ભવિષ્યલક્ષી વેપાર કરારો કરી રહ્યું છે અને વિશ્વના મોટા દેશો ભારત સાથે ડીલ કરવા આતુર છે.

વિરોધ પક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ વિશ્વના કોઈ દેશ ભારત સાથે કરાર કેમ કરતા ન હતા તેનો જવાબ આપવો પડશે. આજના સમયમાં ભારત સાથે ડીલ થવી એ દેશ પર વિશ્વના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે.

 

પ્રધાનમંત્રીએ MSME સેક્ટર માટે સરકાર દ્વારા કરાયેલા પ્રયાસોની વાત કરી અને કહ્યું કે મજબૂત MSME નેટવર્ક દેશની આર્થિક શક્તિ વધારે છે. આ પ્રયત્નોના કારણે આજે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે.

તેમણે કહ્યું કે 2014 પહેલા બેન્કિંગ સેક્ટરમાં ફોન બેન્કિંગ ચાલતું હતું, જેમાં અમુક લોકો કરોડો રૂપિયા લઈ જતા અને ગરીબોને નકારી દેવામાં આવતા. સરકારે હિંમતપૂર્વક સુધારા કર્યા, બેન્કોનું મર્જર કર્યું અને એનપીએની સમસ્યાને નિયંત્રિત કરી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મુદ્રા યોજના હેઠળ 30 લાખ કરોડ રૂપિયાથી વધુ લોન આપવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ લાભાર્થી છે. આ પગલાંઓએ દેશની અર્થવ્યવસ્થાને નવી શક્તિ આપી છે.

તેમણે કહ્યું કે PSU સંસ્થાઓ વિશે ફેલાવવામાં આવતી ભ્રાંતિઓને સરકારે તોડી છે. આજે એલઆઇસી, એસબીઆઇ અને અન્ય સંસ્થાઓ રેકોર્ડ નફો કરી રહી છે.

કિસાનો વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નાના ખેડૂતો માટે ક્યારેય વિચાર થયો નહોતો. સરકાર દ્વારા શરૂ કરાયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 4 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે.

તેમણે યોજના આયોગની જૂની કાર્યશૈલીનું ઉદાહરણ આપીને કહ્યું કે અગાઉ જમીન પરની વાસ્તવિક જરૂરિયાતો સમજાતી નહોતી. 2014 પછી સરકારમાં આવ્યા બાદ યોજના આયોગને બદલે નીતિ આયોગ બનાવવામાં આવ્યો, જે ઝડપી અને અસરકારક રીતે કામ કરી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બસ્તર જેવા વિસ્તારોમાં આજે વિકાસની નવી દિશા જોવા મળી રહી છે. કોંગ્રેસ માત્ર કલ્પના કરતી હતી, જ્યારે વર્તમાન સરકાર અમલ પર ભાર મૂકે છે.

અંતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થવા ન દેવી એ દેશ, સંવિધાન અને આદિવાસી પરિવારથી આવેલી રાષ્ટ્રપતિનો અપમાન છે. તેમણે કહ્યું કે દેશની જનતાએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે અને 140 કરોડ લોકો આજે ભારતના સૌથી મોટા સમાધાન છે, સમસ્યા નહીં.

Published On - 6:36 pm, Thu, 5 February 26