વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 1975ની કટોકટીને ભારતના જીવંત લોકતંત્ર પર કાળો ડાઘ ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસ (Congress)પર નિશાન સાધતા કહ્યું કે લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં હોય છે અને 47 વર્ષ પહેલા લોકશાહીને બાનમાં લઈને તેને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ દેશની જનતાએ તેને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી ઢબે જવાબ આપ્યો હતો. પીએમ મોદી G-7માં ભાગ લેવા માટે જર્મનીની મુલાકાતે છે. અહીં તેમણે ઓડી ડોમ સ્ટેડિયમમાં પ્રવાસી ભારતીઓને સંબોધિત કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતીયો જ્યાં પણ રહીએ છીએ, અમને અમારી લોકશાહી પર ગર્વ છે. તેમણે કહ્યું કે, આજે 26 જૂન છે. 47 વર્ષ પહેલા લોકશાહીને બંધક બનાવીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો. કટોકટી એ ભારતના જીવંત લોકશાહી પરનો કાળો ડાઘ છે. 25 જૂન 1975ના રોજ તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેને 21 માર્ચ 1977 ના રોજ દૂર કરવામાં આવી હતી.
પીએમ મોદીએ 30 મિનિટ સુધી ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતની જનતાએ લોકશાહીને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકતાંત્રિક જવાબ આપ્યો. મોદીએ કહ્યું કે ભારતીયોને તેમની લોકશાહી પર ગર્વ છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત લોકશાહીની માતા છે. સંસ્કૃતિ, ખોરાક, વસ્ત્રો, સંગીત અને પરંપરાઓની વિવિધતા આપણી લોકશાહીને જીવંત બનાવે છે. ભારતે બતાવ્યું છે કે લોકશાહી ઉદ્ધાર કરી શકે છે.
એટલું જ નહીં પીએમ મોદીએ મન કી બાત દરમિયાન ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, વિશ્વના અન્ય દેશોમાં આવા ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં લોકોએ તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક માધ્યમથી હરાવી હોય.
મ્યુનિકમાં ભારતીય સમુદાયને સંબોધતા, મોદીએ ભારતની સફળતાની વાર્તાને પ્રોત્સાહન આપવા અને ભારતની સફળતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવામાં પ્રવાસી ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી. આટલું જ નહીં, પીએમ મોદીએ ભારતના વિકાસની સાથે-સાથે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અને યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો.
પીએમએ કહ્યું કે, ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપી રહ્યું છે. તેમણે કહ્યું, સિદ્ધિઓની આ યાદી ઘણી લાંબી છે. જો હું વાત ચાલુ રાખું તો તામારા ડિનરનો ટાઈમ થઈ જશે. જ્યારે કોઈ દેશ સાચા ઈરાદા સાથે સમયસર યોગ્ય નિર્ણયો લે છે, ત્યારે તેનો વિકાસ નિશ્ચિત છે.
આ ઉપારાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જર્મનીમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત વિશે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. બંને દેશોના નેતાઓએ વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.
ભારત ઉપરાંત G-7 સમિટના યજમાન જર્મનીએ આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ભારત-આર્જેન્ટિના સંબંધો 2019 થી વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધો વર્ષોથી મજબૂત થયા છે અને તેમાં રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગનો સમાવેશ થાય છે.
ભારતે સૌપ્રથમ 1943માં બ્યુનોસ આયર્સમાં વેપાર કમિશન ખોલ્યું હતું, જેને 1949માં દક્ષિણ અમેરિકાના આર્જેન્ટીનામાં ભારતીય દૂતાવાસમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આર્જેન્ટિનામાં લગભગ 2,600 NRI/PIO છે. તેમાંથી મોટાભાગના ભારતીયો આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં રહે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે જર્મનીની બે દિવસીય મુલાકાતે છે. તેઓ G-7 અને તેના સહયોગી દેશોના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
G7 શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન 28 જૂન, 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે. PM મોદી UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શોક વ્યક્ત કરવા માટે મુલાકાત લેશે. આપને જણાવી દઈએ કે શેખ ખલીફાનું ગત મહિનાની 13 તારીખે અવસાન થયું હતું.
Published On - 11:45 am, Mon, 27 June 22