
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 18 જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાતે છે. તેઓ 13-14 જૂન 2026 ના રોજ નાઈસ, ત્યારબાદ 16-17 જૂને એવિયન અને 17-18 જૂન 2026ના રોજ પેરિસની મુલાકાત લેશે. 2014 પછી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સની સાતમી સત્તાવાર મુલાકાત હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. જે દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હવે પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લઈ રહ્યા છે.
આ મુલાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ-સ્તરીય સંવાદની ગતિને પ્રતિબિંબિત કરે છે. તેનો મુખ્ય હેતુ ઇનોવેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થતંત્ર, સાંસ્કૃતિક સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
પીએમ મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે નાઈસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ભારત, ફ્રાન્સ અને વિશ્વના ટોચના ઇનોવેશન સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવે છે. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ દરમિયાન યોજાનારી આ ઇવેન્ટ બંને દેશો વચ્ચે નવીનતા ભાગીદારીને પ્રોત્સાહન આપશે. ફ્રાન્સ અને અન્ય દેશોના 120થી વધુ ભારતીય કંપનીઓ/સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને સીઈઓ ઇન્ડિયા ઇનોવેટ્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
પીએમ મોદી નાઈસમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે તેમની પ્રથમ દ્વિપક્ષીય સમિટ યોજશે. પીએમ મોદી 16 અને 17 જૂને ફ્રાન્સના એવિયનમાં G-7 સમિટમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મેક્રોને તેમને સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. G7 સમિટમાં ભારતની હાજરી ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ અવાજ તરીકે તેની ભૂમિકા દર્શાવે છે.
વડાપ્રધાન 18 જૂને મેક્રોન સાથે યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ, વિવાટેક સમિટમાં હાજરી આપશે. વિવાટેક સમિટમાં ભારતીય પેવેલિયન હશે. જે આ વર્ષે સમિટમાં સૌથી મોટું છે. ઈન્ડિયા ઈનોવેટ્સ અને વિવાટેક સમિટ બંનેમાં વડા પ્રધાન મોદીની ભાગીદારી ભારતને નવીનતા, ડિજિટલ પરિવર્તન અને ઉદ્યોગસાહસિકતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરશે અને ભારતીય અને યુરોપિયન ટેકનોલોજી ઇકોસિસ્ટમ વચ્ચે નવી ભાગીદારીને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.
આ મુલાકાત ભારત અને ફ્રાન્સ સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને ભારત અને યુરોપિયન યુનિયન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ અવસર રહેશે. આ દરમિયાન તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન થશે અને એક સ્થિર, સમૃદ્ધ મલ્ટિપોલર વર્લ્ડ ઓર્ડર બનાવવા માટે યોગદાન મળશે.
ભારત અને ફ્રાન્સે 1947માં ભારતની આઝાદી પછી તરત જ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા અને ત્યારથી બંને દેશો વચ્ચે નજીકના અને મિત્રતાપૂર્ણ સંબંધો રહ્યા છે. 26 જાન્યુઆરી 1998ના રોજ શરૂ થયેલી ભારત-ફ્રાન્સ વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હવે 25 વર્ષથી વધુ જૂની છે. આ ભારત માટે કોઈ પશ્ચિમી દેશ સાથેની પ્રથમ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હતી, જ્યારે ફ્રાન્સ માટે કોઈ ગેર-પશ્ચિમી દેશ સાથેની પ્રથમ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હતી.
આ મુલાકાત ઉચ્ચસ્તરીય રાજકીય સંવાદને પ્રોત્સાહન આપશે અને ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત બનાવશે. ખાસ કરીને ઇનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇકોનોમિક કોર્પોરેશન જેવા ક્ષેત્રોમાં. વર્તમાન વૈશ્વિક વાતાવરણમાં તે આપણી ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે, જે યુરોપ અને યુરોપિયન યુનિયન સાથે સહકારને વધુ ગાઢ બનાવવા અને વિશ્વસનીય મિત્ર સાથે આપણા સહયોગને આગળ વધારવાના આપણા વિઝન સાથે સુસંગત છે. જેનાથી આર્થિક અને સુરક્ષા ક્ષેત્રોમાં આપણી રાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત બનાવવામાં આવશે.