
કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘આપત્તિજનક અને અપમાનજનક’ પોસ્ટ કરવામાં આવી હોવાના આરોપો સર મેટા ઈન્ડિયાના હેડ સામે હૈદરાબાદમાં એફઆઈઆર (FIR) નોંધાઈ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ઘણા એકાઉન્ટ્સ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયાના વડા અરુણ શ્રીનિવાસ સહિત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના અનેક એકાઉન્ટ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોર્ફ્ડ (છેડછાડ કરાયેલા) અને આપત્તિજનક વીડિયો તેમજ તસવીરો વાયરલ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, આ કેસ બે વ્યક્તિઓની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યા છે. ફરિયાદકર્તાઓનું કહેવું છે કે, ઈન્સ્ટાગ્રામ બ્રાઉઝ કરતી વખતે તેમને વડાપ્રધાનને અશ્લીલ, અપમાનજનક અને ભ્રામક રીતે દર્શાવતા અનેક મોર્ફ્ડ તેમજ ડિજિટલ રીતે તૈયાર કરાયેલા વીડિયો-તસવીરો જોવા મળી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ પોસ્ટ્સ પર કરાયેલી કોમેન્ટ્સમાં વડાપ્રધાન અને અન્ય લોકો સામે આપત્તિજનક ભાષા, ઉપહાસ તેમજ અશોભનીય ટિપ્પણીઓ કરવામાં આવી છે. તેનાથી આ પોસ્ટ્સનું આપત્તિજનક સ્વરૂપ વધુ વધી ગયું અને તેના વ્યાપક પ્રસાર તેમજ લોકોની ભાગીદારીને પ્રોત્સાહન મળ્યું. આ સામગ્રી ડિજિટલ રીતે બદલાયેલી અથવા એઆઈ (AI) દ્વારા તૈયાર કરાયેલી હોય તેવું લાગે છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે.’
ફરિયાદકર્તાઓએ વધુમાં ઉમેર્યું કે, ‘આ પ્રકારની સામગ્રી જનતાને ગેરમાર્ગે દોરી શકે છે, ખોટી માહિતી ફેલાવી શકે છે, નફરત કે જાહેર અશાંતિ ભડકાવી શકે છે, જાહેર શાલિનતાને ઠેસ પહોંચાડી શકે છે, જાહેર હસ્તીઓની ગરિમાને નુકસાન પહોંચાડી શકે છે, કાયદો અને વ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે, સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય (વેર) ને પ્રોત્સાહન આપી શકે છે અને લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરી શકે છે.’
વિદ્યાર્થી આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અનેક પોસ્ટ્સ અને કોમેન્ટ્સ, જેમાં કથિત રીતે અભદ્ર તેમજ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે પણ તપાસના દાયરામાં છે.
આ ફરિયાદ 29 વર્ષીય ઉદ્યોગપતિ એસ. અરવિંદ રેડ્ડી અને તેલંગાણા ભાજપ કાર્યકર્તા ટી. સાઈકિરણ ગૌડે નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચાલુ સપ્તાહે વડાપ્રધાનના સત્તાવાર એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા એક વીડિયોને ફેસબુક પર થોડા સમય માટે બ્લોક કરવામાં આવ્યા બાદ મેટાને કેન્દ્ર સરકારની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.
Published On - 1:24 pm, Fri, 31 July 26