લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે માંગ કરીશું કે સરકાર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરે. સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આજે ગૃહમાં આ વિષય પર વાત રાખવાનો પ્રયાસ કરશે. ટીએમસીના રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પણ નિયમ 267 હેઠળ લખીમપુર ખેરી કેસ પર ચર્ચાની માંગ કરી છે. એટલે કે આજે વિપક્ષ લખીમપુર ખેરી મુદ્દે ગૃહમાં હંગામો મચાવી શકે છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે લોકશાહીમાં ચર્ચા અને અસંમતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે ટ્યુશન લેવાની જરૂર છે. તેમણે ટ્વિટ કર્યું, ‘લોકશાહીમાં ચર્ચા અને અસંમતિનું મહત્વ – મોદી સરકારને આ વિષય પર ટ્યુશનની જરૂર છે.’
પ્રથમ દિવસથી ધરણાં
રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા 12 સભ્યોના સમર્થનમાં કાઢવામાં આવનાર માર્ચમાં સામેલ થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આ આરોપ લગાવ્યો હતો. 29 નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના 12 સભ્યોને રાજ્યસભામાં છેલ્લા ચોમાસુ સત્રમાં “અભદ્ર વર્તન” બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્શન બાદથી આ સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન સવારથી સાંજ સુધી સંસદ પરિસરમાં ધરણા કરી રહ્યા છે.
રંજન ગોગોઈ વિરુદ્ધ ઘણા વિરોધ પક્ષો
ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈએમ બાદ હવે શિવસેના અને યુનિયન મુસ્લિમ લીગે પણ રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ આપ્યો છે. ગૃહમાં તેમની ભાગીદારી અંગે કરાયેલી ટીપ્પણી સામે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જસ્ટિસ રંજન ગોગોઈએ એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ્યસભામાં તેમની ખૂબ ઓછી હાજરી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું હતું કે, ‘જ્યારે પણ મને મન થશે ત્યારે હું રાજ્યસભામાં જઈશ. હું નોમિનેટેડ સભ્ય છું અને કોઈ પણ પક્ષ મને રાજ્યસભામાં જવા માટે દબાણ કરી શકે નહીં.
વિપક્ષી દળોએ ગોગોઈના આ નિવેદનને ગૃહની અવમાનના ગણાવ્યું હતું અને નોટિસ જારી કરતી વખતે કહ્યું હતું કે આ નિવેદન ગૃહની પ્રતિષ્ઠાનું મહત્વ ઓછું કરે છે. વિપક્ષે કહ્યું કે, તેમની સામે વિશેષાધિકાર ભંગનો પણ કેસ છે. ગોગોઈએ કહ્યું હતું કે, ‘હું નામાંકિત સભ્ય છું, હું કોઈ પક્ષના વ્હીપ સાથે જોડાયેલો નથી. તેથી વ્હીપ મને લાગુ પડતો નથી. કોઈપણ રાજકીય પક્ષ મને ગૃહમાં આવવા દબાણ કરી શકે નહીં.