પાકિસ્તાનમાંથી (Pakistan) ગેરકાયદે ભારત ધૂસી આવેલ રિઝવાન અશરફની પૂછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે. સુરક્ષા એજન્સીએ રિઝવાન અશરફની હાથ ધરેલ પૂછપરછમાં એવુ સામે આવ્યુ છે કે, પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બેકે (Tehreek-e-Labbake) ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની (Nupur Sharma) હત્યાની યોજના બનાવી છે. રાજસ્થાન પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક રીઝવાન જે પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારત આવ્યો હતો તે પણ આ સંગઠનથી પ્રભાવિત હતો. હાલમાં અનેક એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર એડિશનલ ડીજીપી (ઈન્ટેલિજન્સ) એસ સેનગાથિરે કહ્યું, ‘પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બેકે નૂપુર શર્માની હત્યા કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાની આતંકવાદી રિઝવાન પણ તહરીક-એ-લબ્બેકથી પ્રભાવિત હતો. તહરીક-એ-લબ્બેકની યોજના મુજબ રિઝવાન સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવા માંગતો હતો.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિને 16 જુલાઈના રોજ લગભગ 11 વાગ્યે હિન્દુમલકોટ બોર્ડર ચોકી નજીકથી પકડવામાં આવ્યો હતો. પેટ્રોલિંગ ટીમને તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. “અમને તેની પાસેથી 11 ઇંચની છરી, ધાર્મિક પુસ્તકો, કપડાં, ખોરાક અને રેતી મળી આવી છે,” તેણે કહ્યું. તેની ઓળખ પાકિસ્તાનના ઉત્તરી પંજાબના મંડી બહુદ્દીન નગરના રહેવાસી રિઝવાન અશરફ તરીકે થઈ છે.
તેણે માહિતી આપી હતી કે પ્રારંભિક તપાસમાં શંકાસ્પદ વ્યક્તિએ કહ્યું હતું કે તે પ્રોફેટ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે નૂપુર શર્માને મારવા આવ્યો હતો. પોતાની યોજનાઓ પૂર્ણ કરતા પહેલા તેણે અજમેર દરગાહની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. “અમે તેને તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપ્યો છે. તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અમે સંબંધિત ગુપ્તચર એજન્સીઓને આ અંગે જાણ કરી છે.