પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા એક વખત ફરીથી રાહુલ ગાંધીની (Rahul gandhi )પૂછપરછ કરવામાં આવશે, સોમવારે એટલે કે આજે થનારી પૂછપરછ માટે કોંગ્રેસ ફરીથી મોટા પ્રદર્શન માટે તૈયાર છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા દિલ્લી પહોંચી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના તો રાત્રે જ ત્યાં પહોંચી ગયા હતા. નોંધનીય છે કે ઇડી દ્વારા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત ધન શોધન અંગે પૂછપરછ થઈ રહી છે. અને આજેફરીથી તેમની પૂછપરછ થશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇડીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ તેમની માતા સોનિયા ગાંધીની બીમારીને કારણે જે- તે સમયે સૂનાવણી માટે હાજર રહી શકયા નહોતા. ઇડીએ કોંગ્રેસ નેતાના અનુરોધ બાદ કેટલાક કલાકો બાદ રાહુલ ગાંધીનો પત્ર સ્વીકારી લીધો હતો અને 20 જૂને હાજર રહેવા માટે જણાવ્યું હતું. કોંગ્રસે અધ્યક્ષ સોનિયા ગાંધીને થયેલા કોવિડ બાદ તેઓ સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીર સૂરજેવાલાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે, પરંતુ તેઓ કેટલાક દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રહેશે.
આ પહેલા ગત બુધવારે સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી 17 જૂને ચોથી વાર ફરીથી ઇડીએ બોલાવ્યા હતા. પરંતુ રાહુલ ગાંધીએ ઇડીને પત્ર લખીને માતાની બીમારીની જાણ કરતા ઇડીએ તેમને 20 જૂનની તારીખ આપી હતી. કોંગ્રેસે ઇડીની કામગીરીને કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી બદલાની રાજનીતી કહીને ટીકા કરી છે.
અત્યાર સુધી આ કેસમાં રાહુલ ગાંધીની આશરે 30 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ આ સમયગાળા દરમિયાન ED ઓફિસ તરફ જતા રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ ઘણા નેતાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પણ દિલ્હી પોલીસ ઉપર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, ગુરુવારે કર્ણાટક, કેરળ, પંજાબ, તેલંગાણા, તમિલનાડુ અને રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં કોંગ્રેસના કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે તપાસ એજન્સીએ આ જ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 23 જૂને સમન્સ પાઠવ્યા છે. અગાઉ તેમને 8 જૂને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો કારણ કે તે કોરોનાથી સંક્રમિત છે અને હજુ સુધી સાજા થયા નથી.