National Herald case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે નેશનલ હેરાલ્ડ અખબાર (National Herald Newspaper)સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ (Money laundering)ના કેસમાં સતત બીજા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની 10 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. તેમને બુધવારે ફરી સમન્સ પાઠવવામાં આવ્યા હતા. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી બુધવારે સતત ત્રીજા દિવસે ED સમક્ષ હાજર થશે. મંગળવારની પૂછપરછના સંદર્ભમાં, સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ED રાહુલ ગાંધીના જવાબોથી સંતુષ્ટ નથી. રાહુલ ગાંધીએ અનેક સવાલોના આવા જ જવાબ આપ્યા છે.
ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના બીજા દિવસે પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરની બાજુના વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે. તેના નેતાની EDની પૂછપરછને ગેરબંધારણીય ગણાવીને અને ગાંધી પરિવારની વિશ્વસનીયતાને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાવતા મુખ્ય વિરોધ પક્ષે દાવો કર્યો હતો કે સરકારને પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ સામે તકલીફ એટલે છે કે તેમણે કોરોનાથી લઈને ચીનના મુદ્દે સરકારને સારી રીતે ઘેરી હતી.
રાહુલ ગાંધી સતત બીજા દિવસે મંગળવારે સવારે 11.05 વાગ્યે એપીજે અબ્દુલ કલામ રોડ પર EDના મુખ્યાલય પહોંચ્યા હતા. તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા. અધિકારીઓએ જણાવ્યું કે કાયદાકીય ઔપચારિકતા પૂરી કર્યા બાદ સવારે 11.30 વાગ્યે રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. લગભગ ચાર કલાકની પૂછપરછ પછી, રાહુલ ગાંધી લગભગ 3.30 વાગ્યે બહાર આવ્યા અને એક કલાક પછી ફરીથી ED ઓફિસ પહોંચ્યા. EDએ સોમવારે કોંગ્રેસ નેતાની 10 કલાકથી વધુ પૂછપરછ કરી હતી.
આ પછી, EDએ તેને મંગળવારે ફરીથી હાજર થવા કહ્યું. કોંગ્રેસ અનુસાર, મંગળવારે પોલીસે પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ઉપનેતા ગૌરવ ગોગોઈ, સાંસદ દીપેન્દ્ર હુડ્ડા, રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્ય ઈમરાન પ્રતાપગઢી અને અન્ય ઘણા નેતાઓની અટકાયત કરી હતી. વેણુગોપાલે એક વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે, નરેન્દ્ર મોદી સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ સામે બદલાની રાજનીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સત્યની સાથે છે. અમે નમીને ડરવાના નથી.
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સોમવારે દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં ED કાર્યાલયોની બહાર સત્યાગ્રહ અને માર્ચ પણ યોજી હતી, જેને પાર્ટીની તાકાતના પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી ચિદમ્બરમ સહિત તેના ઘણા નેતાઓને દિલ્હી પોલીસની ઝપાઝપીને કારણે ઈજા થઈ હતી. જોકે, પોલીસે કહ્યું હતું કે તેમના તરફથી કોઈ બળનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.