
Modi Cabinet expansion : સંસદના ચોમાસુ સત્ર પહેલાં નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વ્યાપક બની છે. વિવિધ મીડિયા અહેવાલોમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેટલાક વરિષ્ઠ પ્રધાનોને પડતા મુકવા સહીતના મોટા ફેરફારો થઈ શકે છે. જોકે, અત્યાર સુધી કેન્દ્ર સરકાર અથવા ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ફરીથી મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી, કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે કારમા પરાજય બાદ સ્મૃતિ ઈરાનીને વડાપ્રધાન મોદીએ તેમની સરકારમાં સામેલ કર્યાં નહોતા. હવે એવી ચર્ચા છે કે, વડાપ્રધાન મોદી-ભાજપ તેમને ફરીથી પ્રધાન બનાવીને કેટલીક મહત્વની જવાબદારી સોંપી શકે છે.
સ્મૃતિ ઈરાની અગાઉ મોદી સરકારમાં માનવ સંસાધન વિકાસ, માહિતી અને પ્રસારણ, કાપડ, મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતો જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની વાપસી પાછળ ભાજપની લાંબા ગાળાની ચૂંટણી રણનીતિ હોઈ શકે છે.
અહેવાલો મુજબ, સ્મૃતિ ઈરાનીને ફરીથી કેબિનેટમાં સ્થાન આપવાનો નિર્ણય 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવી શકે છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ આગામી ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી શકે છે.
મોદી મંત્રીમંડળના સંભવિત વિસ્તરણને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નામ પણ ચર્ચામાં છે. હિમાચલ પ્રદેશની આગામી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ તેમને ફરીથી કેન્દ્રીય કેબિનેટમાં તક આપી શકે તેવી અટકળો ચાલી રહી છે.
તે ઉપરાંત ઉત્તર પ્રદેશના નેતા જિતિન પ્રસાદનું નામ પણ સંભવિત મંત્રીઓની યાદીમાં હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું છે.
કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, મંત્રીમંડળમાં મોટા ફેરફાર દરમિયાન કેટલાક વરિષ્ઠ નેતાઓની જવાબદારીઓમાં બદલાવ થઈ શકે છે. તેમાં રાજનાથ સિંહ અને નીતિન ગડકરીના નામ પણ ચર્ચામાં છે. સાથે જ એવી અટકળો પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રાજનાથ સિંહને ભવિષ્યમાં અન્ય કોઈ મહત્વપૂર્ણ બંધારણીય પદ માટે વિચારવામાં આવી શકે. જોકે, આ તમામ દાવાઓ અંગે ભાજપ કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હાલમાં મંત્રીમંડળમાં ફેરબદલને લઈને ચાલી રહેલી તમામ ચર્ચાઓ માત્ર મીડિયા અહેવાલો અને રાજકીય અટકળો પર આધારિત છે. સંભવિત ફેરફારો અંગે સ્પષ્ટતા ત્યારે જ થશે જ્યારે કેન્દ્ર સરકાર અથવા ભાજપ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાય.