મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો (Maharashtra Political Crisis) ગુરુવારે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા સાથે અંત આવ્યો. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પણ કટાક્ષ કર્યો હતો. રાજ ઠાકરેએ (Raj Thackeray) ટ્વીટ કરીને કહ્યું કે જે દિવસે માણસ પોતાના સારા નસીબને પોતાની અંગત સિદ્ધિ માનવા લાગે છે, ત્યારથી તેનું પતન શરૂ થઈ જાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અને ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray)પિતરાઈ ભાઈ રાજ ઠાકરે છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા હતા. રાજ ઠાકરેએ લાઉડસ્પીકર પર અજાનના મુદ્દે ઉદ્ધવ સરકારને ઘેરી હતી.
— Raj Thackeray (@RajThackeray) June 30, 2022
MNSએ પોસ્ટર લગાવીને શિવસેનાને આડે હાથ લીધી હતી
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પડતાની સાથે જ રાજ ઠાકરેએ ટ્વિટ કરીને પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં, રાજ ઠાકરેએ આ ટ્વીટ ત્રણ ભાષા હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં કર્યું હતું. આ પંક્તિઓ લખ્યા બાદ રાજ ઠાકરેએ પોતાની સહી નીચે મૂકી છે. રાજ ઠાકરેએ ટ્વીટમાં ઉદ્ધવની ઝાટકણી કાઢી અને લખ્યું કે જે દિવસે માણસ પોતાના સારા નસીબને પોતાની અંગત સિદ્ધિ માનવા લાગે છે, તે દિવસથી તેનું પતન શરૂ થઈ જાય છે. આ પહેલા રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોસ્ટર લગાવીને શિવસેના પર કટાક્ષ કર્યો હતો. જેમાં શિવસેના તરફ ઈશારો કરીને પૂછવામાં આવ્યું છે કે હવે તે કેવું અનુભવી રહી છે.
ઉદ્ધવ સરકારનો ખુલ્લેઆમ વિરોધ કર્યો
રાજ ઠાકરેની પાર્ટી MNSનું આ પોસ્ટર મુંબઈના સાકીનાકા વિસ્તારમાં લગાવવામાં આવ્યું હતું. આ પહેલા રાજ ઠાકરેએ લાઉડસ્પીકર પર અજાન વિવાદમાં પણ ઉદ્ધવ ઠાકરે સરકારનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તેમણે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે ઈદ સુધી અલ્ટીમેટમ આપ્યું હતું.
રાજ ઠાકરેને શિવસેનાના નેતા તરીકે જોવામાં આવતા હતા
હકીકતમાં, પરિવારમાં બળવો પહેલા રાજ ઠાકરેએ પોતે અને લોકોએ પણ તેમને શિવસેનાના ભાવિ નેતા તરીકે જોયા હતા. તેઓ પોતાને બાળ ઠાકરેના અનુગામી માનતા હતા. જોકે, જ્યારે શિવસેનાના ઉત્તરાધિકારી બનાવવાની વાત આવી ત્યારે બાળ ઠાકરેએ ભત્રીજા રાજને બદલે પુત્ર ઉદ્ધવને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું. આનાથી રાજ ઠાકરે નારાજ થયા હતા. તેમણે શિવસેના સામે બળવો કર્યો હતો. પાર્ટીથી અલગ થયા બાદ રાજ ઠાકરેએ માર્ચ 2006માં તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે શિવસેનાના સ્થાપક અને ઉદ્ધવ ઠાકરેના પિતા બાળ ઠાકરેના નાના ભાઈ હતા.
Published On - 8:04 am, Fri, 1 July 22