લોકસભામાં OBC સંબંધીત 127મું બંધારણ સુધારણા બિલ 2021 રજુ, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો, અમે સાથે છીએ
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, બીજા મુદ્દા તેની જગ્યાએ છે પરંતુ OBC સંબંધીત 127મું બંધારણ સુધારણા બિલ 2021 દેશના હિતમાં છે, કારણ કે તે અડધાથી વધારે વસ્તી સાથે જોડાયેલો છે. અમે તેને સંપૂર્ણ ટેકો આપીશું.
કોંગ્રેસ સહિત 15 મોટા અને મુખ્ય વિપક્ષી દળોએ સોમવારે સંસદનું ચોમાસું સત્ર તેના અંતિમ પડાવ પર પહોચતાં જ એક બેઠક કરી અને આગળની નીતી અંગે ચર્ચા કરી તેમજ વિપક્ષોએ નિર્ણય લીધો કે, તેઓ અન્ય પછાત વર્ગ (OBC) સંબંધિત સુધારા બિલ પર ચર્ચામાં ભાગ લેશે અને તેને પાસ કરાવવામાં સંપૂર્ણ ટેકો આપશે.
આ બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે આ સુધારા બિલને ટેકો આપીશું. અમારી માંગણી છે કે આ બિલ રજૂ કરવામાં આવે અને તે જ સમયે ચર્ચા આ બિલ પર ચર્ચા કરીને પાસ કરવામાં આવે.
તેમણે જણાવ્યું કે, બીજા મુદ્દા તેની જગ્યાએ છે પરંતુ આ મુદ્દો દેશના હિતમાં છે કારણ કે તે અડધાથી વધારે વસ્તી સાથે જોડાયેલો છે. અમે તેને સંપૂર્ણ ટેકો આપીશું.
દરમિયાન, સરકારે લોકસભામાં ઓબીસી સંબંધિત ‘બંધારણ (એકસો સતાવીસમો સુધારો) બિલ, 2021’ રજૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી કેસ પર ચર્ચાની માંગણી કરશે. તેમજ આ માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયત્ન ચાલુ રાખશે. મોંઘવારી અને ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.
બેઠકમાં આ નેતાઓએ આપી હાજરી
વિપક્ષ નેતા ખડગેની સંસંદ ભવન સ્થિત ચેમ્બરમાં આ બેઠક યોજાય હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, પક્ષના વરિષ્ઠ નેતાઓ આનંદ શર્મા અને જયરામ રમેશ, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ, લોકસભામાં DMK ના નેતા ટીઆર બાલુ, શિવસેના નેતા સંજય રાઉત તેમજ અન્ય કેટલાક પક્ષોના નેતાઓ હાજર હતા.
પેગાસસ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે. 19 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થયું. પરંતુ, અત્યાર સુધી બંને ઘણીવાર ગૃહોની કાર્યવાહી ખોરવાઈ છે. સત્ર 13 ઓગસ્ટે સમાપ્ત થવાનું છે.
વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકારે પહેલા પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થવું જોઈએ ત્યાર બાદ જ સંસદમાં મડાગાંઠનો અંત શક્ય બનશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની માંગને ફગાવી દેતા શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે આ કોઈ ચર્ચા માટેનો મુદ્દો નથી.
આ પણ વાંચો : Mumbai Local Train: CM ઉદ્ધવ ઠાકરેની મહત્વની જાહેરાત, મુંબઈમાં લોકલ ટ્રેન 15 ઓગસ્ટથી થશે શરૂ