
રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ વચ્ચેનું સંતુલન જાળવવું કોઈપણ દેશ માટે અત્યંત સંવેદનશીલ અને જટિલ પ્રક્રિયા છે. ભારત આજે ચોક્કસપણે આવી જ એક વ્યૂહાત્મક દહેલીજ પર ઊભું છે. 2020 માં ગલવાન ઘાટીમાં થયેલી સરહદી અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો, જેનો સીધો અસર આર્થિક સહકાર પર પણ પડ્યો.
આ સમયગાળા દરમિયાન ભારતે ચીની રોકાણો પર કડક નિયંત્રણો લાદી અબજો ડોલરના પ્રસ્તાવો અટકાવ્યા હતા. જોકે, બદલાતી વૈશ્વિક સપ્લાય ચેઈન અને ‘મેક ઇન ઇન્ડિયા’ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખતા હવે નીતિગત સ્તરે એક નવો વિચાર શરૂ થયો છે. ‘પ્રેસ નોટ ૩’ના અમલમાં શક્ય હળવાશ માત્ર આર્થિક નહીં પરંતુ ભૌગોલિક રાજકીય સંકેત પણ આપે છે.
એપ્રિલ 2020 માં અમલમાં આવેલી પ્રેસ નોટ 3 હેઠળ ભારત સાથે જમીની સરહદ ધરાવતા દેશોના કોઈપણ રોકાણ માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી. આ પગલું ખાસ કરીને ચીનથી આવતા રોકાણોને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું હતું.
આ નીતિ પાછળનો મુખ્ય હેતુ કોવિડ-19ના સંકટ દરમિયાન ભારતીય કંપનીઓ પર થનારા તકવાદી ટેકઓવર અટકાવવાનો હતો. સરકાર એ સુનિશ્ચિત કરવા માગતી હતી કે કોઈ વિદેશી શક્તિ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગો પર નિયંત્રણ ન સ્થાપિત કરે. આ દ્રષ્ટિએ, પ્રેસ નોટ ૩ માત્ર આર્થિક નિયમ નહીં પરંતુ રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટેની એક સ્પષ્ટ લક્ષ્મણ રેખા બની.
ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો ઉદ્દેશ પ્રશંસનીય છે, પરંતુ તેની સાથે જોડાયેલું એક કડવું સત્ય એ છે કે હાલના તબક્કે ચીની ઘટકો અને ટેકનોલોજી વિના ઘણા ક્ષેત્રોમાં વિકાસની ગતિ ધીમી પડી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ઉદ્યોગોમાં ચીન પાસે જે સ્કેલ, સપ્લાય ચેઈન અને કુશળતા છે, તેની ભારતને તાત્કાલિક જરૂર છે.
અહીં એક સ્પષ્ટ વિરોધાભાસ દેખાય છે. આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવા માટે પણ ભારતને હાલ ચીની મશીનરી અને નિષ્ણાતોની મદદ લેવી પડી રહી છે. “ચાઇના પ્લસ વન” વ્યૂહરચનાને સફળ બનાવવા માટે જે ઇકોસિસ્ટમ જરૂરી છે, તે અત્યારે મોટા ભાગે ચીન પાસે કેન્દ્રિત છે. ખાસ કરીને ચીની ટેકનિશિયનોના વિઝા સંબંધિત અડચણો ઘણા ભારતીય ઉત્પાદકો માટે ઉત્પાદન ક્ષમતાને અસર કરી રહી છે. સંપૂર્ણ પ્રતિબંધ નિકાસ ક્ષમતાને મર્યાદિત કરી શકે છે, તેથી આયાત કરતાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે.
તાજેતરના સંકેતો બતાવે છે કે ભારત સરકાર હવે સંપૂર્ણ પ્રતિબંધના અભિગમથી દૂર જઈ એક સંતુલિત અને કેલિબ્રેટેડ નીતિ તરફ આગળ વધી રહી છે. આર્થિક સર્વેક્ષણ 2023–24 માં પણ સૂચવવામાં આવ્યું છે કે ચીનથી તૈયાર માલ આયાત કરવા કરતાં ચીની કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવું લાંબા ગાળે વધુ લાભદાયી બની શકે છે.
જો ચીની કંપનીઓ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપે, ટેકનોલોજી ટ્રાન્સફર કરે અને સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન કરે, તો તે ભારતની વેપાર ખાધ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. સાથે જ, કેટલાક ક્ષેત્રોમાં ચીની નિષ્ણાતો માટે વિઝા પ્રક્રિયામાં સરળતા લાવવાની ચર્ચા પણ આ નવી દિશાનો સંકેત આપે છે.
આ નીતિગત પરિવર્તનનો અર્થ એ નથી કે ભારત સુરક્ષા મુદ્દે કોઈ સમાધાન કરશે. સરકાર સ્પષ્ટ રીતે કહે છે કે દરેક રોકાણ પ્રસ્તાવની કડક તપાસ અને સતત દેખરેખ રાખવામાં આવશે.
આ માટે આંતર-મંત્રાલય સમિતિ દ્વારા દરેક પ્રસ્તાવની વિગતવાર ચકાસણી કરવામાં આવે છે. આર્થિક મંત્રાલયોની ભલામણ હોવા છતાં અંતિમ સુરક્ષા મંજૂરી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે, જે ગેટકીપરની ભૂમિકા ભજવે છે. ડેટા સુરક્ષા, સંવેદનશીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારના જોખમને ટાળવા માટે સરકાર સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.
દુનિયા ભારતની તાકાતનો કરશે સ્વીકારઃ પીએમ મોદી