
ઈરાન યુદ્ધના કારણે સમુદ્રમાં આવેલું કાચા તેલનું તોફાન હવે શાંત થતું દેખાઈ રહ્યું છે. પરંતુ સંકટના વાદળો હજુ હટ્યા નથી. ભારતીય શેરબજાર માટે નવો ખતરો હવે આકાશમાં મંડરાઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓછા બફર્સ (આર્થિક સુરક્ષા કવચ) ની સાથે ભારત મંદી તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે.
વૈશ્વિક બજારમાં કાચા તેલની (બ્રિન્ટ ક્રૂડ) કિંમતો પોતાના 2026 ના સર્વોચ્ચ સ્તર એટલે કે 120 ડોલર પ્રતિ બેરલથી 40% કરતાં પણ વધુ તૂટી ચૂકી છે. પરંતુ, ભારતીય શેરબજારના જે રોકાણકારો કાચા તેલમાં ઘટાડાના સહારે માર્કેટમાં એક મોટા બ્રેકઆઉટ એટલે કે તેજીની આશા રાખી રહ્યા છે, તેઓ કદાચ ખોટો ઈન્ડિકેટર (સંકેત) જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે તેલના ઝટકાની અસર ભલે ઓછી થઈ રહી હોય, પરંતુ આકાશમાં આનાથી પણ ક્યાંય વધુ ગંભીર વ્યાપક આર્થિક ખતરો મંડરાઈ રહ્યો છે.
ઝડપથી વિકસી રહેલા સુપર અલ નીનોએ (Super El Nino) છેલ્લા એક દાયકામાં ચોમાસાની સૌથી ખરાબ શરૂઆત કરી છે. આનાથી ભારતની કુલ GDP નો 56% હિસ્સો, જે સીધી રીતે સ્થાનિક વપરાશ સાથે જોડાયેલો છે, તે ખતરામાં આવી ગયો છે અને શેરબજાર એક મર્યાદિત દાયરામાં ફસાઈ ગયું છે. ઇકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી નિફ્ટીનું રિટર્ન ફ્લેટ રહ્યું છે અને હવે ભારતીય શેરો માટે જોખમનું કેન્દ્ર વૈશ્વિક સપ્લાય શૉકથી બદલાઈને સ્થાનિક માંગમાં ઘટાડા તરફ શિફ્ટ થઈ ગયું છે.
પર્યાવરણવિદોના મતે, આ માત્ર કોઈ એક વર્ષની સામાન્ય સમસ્યા નથી, પરંતુ ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) ની વરવી વાસ્તવિકતા છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સુપર અલ નીનો જેવી અણધારી કુદરતી આફતો હવે વધુ તીવ્ર અને વિનાશક બની રહી છે. વાતાવરણમાં સતત વધી રહેલી ગરમી અને ગ્લોબલ વોર્મિંગના કારણે ચોમાસાની પેટર્ન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના લીધે કાં તો ભારે દુષ્કાળ પડે છે અથવા પૂરની સ્થિતિ સર્જાય છે.
ક્લાઈમેટ ચેન્જનો આ બેવડો માર ભારતીય કૃષિ અને લાંબાગાળાના આર્થિક આયોજનને પાયામાંથી હચમચાવી રહ્યો છે. જ્યાં સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે મોટા પાયે વૃક્ષો વાવવા જોઈએ, તેના બદલે તેનાથી તદ્દન વિપરીત કાર્ય થઈ રહ્યું છે. જંગલો અને લીલોતરી બચાવવાને બદલે વિકાસના નામે જમીનો મોટા-મોટા ઉદ્યોગપતિઓને વેચી દેવામાં આવી રહી છે, જેનાથી માત્ર ઉદ્યોગપતિઓ અને સરકારની પોતાની તિજોરીઓ ભરાઈ રહી છે.
હવામાન વિજ્ઞાનના આંકડા અત્યંત ચિંતાજનક છે. 26 જૂન 2026 સુધી દેશમાં કુલ વરસાદ લાંબાગાળાની સરેરાશ (LTA) કરતાં 42% ઓછો રહ્યો છે, જે છેલ્લા દસ વર્ષમાં ચોમાસાની સૌથી નબળી શરૂઆત છે. આ અછત દેશના લગભગ 72% ભાગોમાં ફેલાયેલી છે.
નિષ્ણાતોના મતે, જૂનના આ ભાગમાં વરસાદની અછત ભૂતકાળના અલ નીનો વર્ષો 2019 (-40%) અને 2023 (-36%) ની સરખામણીએ પણ વધુ છે, જેણે 2026 ના ખરીફ પાકની સીઝન પર જોખમ વધારી દીધું છે.
ઓછો વરસાદ હવે માત્ર ખેતી-ખેડૂતોની સમસ્યા નથી, પરંતુ એક મોટું આર્થિક સંકટ બની ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગે (IMD) પોતાના વરસાદના અંદાજને ઘટાડીને લાંબાગાળાની સરેરાશના 90% કરી દીધો છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી નબળા ચોમાસાનો અંદાજ છે. જે ખરીફ પાક ભારતના કુલ અનાજ ઉત્પાદનનો લગભગ 50% હિસ્સો હોય છે અને કૃષિ ક્ષેત્રમાં દેશનું 46% વર્કફોર્સ (શ્રમિકો) કાર્યરત છે, તેથી નબળું ચોમાસું સીધી રીતે અર્થતંત્રની કરોડરજ્જુ પર પ્રહાર કરે છે.
એમ્બિટ કેપિટલે (Ambit Capital) ચેતવણી આપી છે કે ભારત જાન્યુઆરીની સરખામણીએ હવે ઓછા બફર્સ સાથે મંદી તરફ આગળ વધી રહ્યું છે. વપરાશ પર અલ નીનોનો ખતરો છે, તો બીજી તરફ રોકાણ, સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસ બધું જ દબાણ હેઠળ છે. સાથે જ, મોંઘવારીનું જોખમ અને ચાલુ ખાતાની ખાધ વધવાથી આરબીઆઈ (RBI) પાસે વિકાસને ટેકો આપવાની તકો ઓછી થઈ ગઈ છે.