રાજનાથ સિંહે એક મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર પ્રત્યાઘાતમાં કહ્યું કે પુલવામા હુમલા બાદ જે વડાપ્રધાને આપણા શહીદ જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ સુદ્ધા અર્પિત ન કરી હોય, તે આતંકવાદ પર ભારત સાથે શું વાતચીત કરશે ? હવે વાતચીતનો સમય બહુ પાછળ રહી ગયો છે.
જ્યારે ગૃહ પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું ભારત પણ તેવા જ પ્રકારની કાર્યવાહી કરી શકે છે કે જેવી અમેરિકાએ અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેન સામે પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરી હતી ? જવાબમાં રાજનાથે કહ્યું કે અમેરિકાને પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં અઢી વર્ષ લાગ્યા હતાં, અમને આટલો સમય નહીં લાગે. હમણા આપ પ્રતીક્ષા કરો, દેશ નિરાશ નહીં થાય.
તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આખુ વિશ્વ ઊભું છે. હવે નિર્ણાયક લડાઈનો સમય છે, હવે આતંકવાદ સામે જે લડાઈ થશે, તે નિર્ણાયક હશે. ચીન પણ પુલવામા હુમલા બાદ આપણી સાથે ઊભુ થયું છે અને પાકિસ્તાન અલગ-થલગ પડી ચુક્યું છે.
તેમણે કહ્યું કે અમારી સરકાર જનતાના ભરોસાને ભાંગવા નહીં દે અને પુલવામા હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કડક નિવેદન આપ્યું છે અને કામ પણ કઠોરતા સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે યુદ્ધ અંગે હાલ કંઈ પણ કહી શકાય નહીં.