ભારત પાકિસ્તાન સામે એર કે સર્જીકલ સ્ટ્રાઈક જેવુ કંઈક મોટુ કરવા જઈ રહ્યું છે, આ ચાર સંકેતોથી જાણો, જુઓ વીડિયો

ગઈકાલ મંગળવારે પહેલગામના બાઈસરનમાં કરાયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ, ભારતના પ્રતિભાવના સંકેતથી પાકિસ્તાન ડરી ગયું છે. ભારતમાં જે રીતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે જોતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત કંઈક મોટું કરી શકે છે. બીજી તરફ, ભારતની કાર્યવાહીથી ડરીને, પાકિસ્તાનના ટોચના નેતાઓએ બચાવમાં નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે.

ભારત પાકિસ્તાન સામે એર કે સર્જીકલ સ્ટ્રાઈક જેવુ કંઈક મોટુ કરવા જઈ રહ્યું છે, આ ચાર સંકેતોથી જાણો, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Apr 23, 2025 | 3:45 PM

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલ મંગળવારે નિર્દોષ પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક મોટું થવાનું છે. છેલ્લા 24 કલાકમાં થયેલી ચાર મોટી કાર્યવાહીથી આ સંકેત વધુ મજબૂત બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પહેલાની જેમ સરહદ પારના આતંકવાદીઓને ખતમ કરવા માટે અભિયાન શરૂ કરી શકે છે. 2016 અને 2019 માં, ભારતે આતંકવાદી હુમલાઓ પછી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી હતી. બંને સ્ટ્રાઈકમાં 500 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

પાકિસ્તાન સામે કાર્યવાહી કરાશેના 4 સંકેતો

1. ગૃહમંત્રી શાહની ઉચ્ચ સ્તરીય બેઠક

આતંકવાદી હુમલા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરત જ કાશ્મીર ખીણ પહોંચ્યા હતા. શાહ પોતે આતંકી હુમલાની સમગ્ર મામલાની તપાસનો રજેરજનો અહેવાલ મેળવી રહ્યા છે. કાશ્મીરમાં, શાહે LG મનોજ સિંહા અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ શાહે કહ્યું છે કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. શાહે કહ્યું છે કે આપણે આતંકવાદ સામે ઝૂકવાના નથી. શાહ પોતે પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખીણની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા પછી જ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

2. પીએમ મોદી બીજી એર સ્પેસથી આવ્યા

પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં હતા. મોદીએ ત્યાંની તેમની બાકીની મુલાકાત રદ કરી અને પ્રવાસ ટુંકાવીને તરત જ ભારત પાછા ફર્યા. રિપોર્ટ અનુસાર, પીએમ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને બદલે કોઈ બીજા માર્ગે દિલ્હી આવ્યા છે. મોદીના આ પગલાને પાકિસ્તાનને સીધી ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી દિલ્હીમાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક આજે સાંજે યોજવાના છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ સર્વોચ્ચ સ્તરની સમિતિ હોય છે. આમાં સુરક્ષા સંબંધિત મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે.

3. ત્રણેય દળો તૈયાર, સંરક્ષણ મંત્રીએ યોજી બેઠક

પહેલગામ ઘટના બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં, ત્રણેય સેના પ્રમુખોએ કહ્યું છે કે તેઓ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આનો અર્થ એ થયો કે, સરકાર આગળની કાર્યવાહી માટે જે કોઈ પણ નિર્ણય લે છે, તેને સરળતાથી પાલન કરી શકાશે.

છેલ્લે જ્યારે વાયુસેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે વાયુસેનાના કમાન્ડરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ કર્યો હતો અને બે અલગ અલગ સર્જિકલ સ્ટ્રાઈકમાં 500 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

4. પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ

પાકિસ્તાનમાં હાલ ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને એક નિવેદનમાં કહ્યું છે કે, જો ભારત હુમલો કરશે તો અહીંના તમામ પક્ષો સાથે મળીને તેનો વિરોધ કરશે. ફવાદ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે, પહેલગામ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી.

જુઓ વીડિયોઃ

સેટેલાઇટ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન વાયુસેનાના વિમાનો આખી રાત પાકિસ્તાન સરહદની આસપાસ સક્રિય રહ્યા હતા. પાકિસ્તાને, ભારતીય સરહદમાં થતી સૈન્ય હલચલની ગુપ્ત માહિતી એકઠી કરવા માટે બે ફાઇટર જેટ તહેનાત કર્યા હતા.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.