JK: માછિલમાં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ, તમામ 56 RRના હતા
ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે.
ભારતીય સેનાના ત્રણ જવાન હિમસ્ખલનમાં ફસવાને કારણે શહીદ થયા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે. જવાનો ફરજ દરમિયાન શહીદ થયા હતા. શહીદ જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના જણાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોના મૃતદેહોને ડ્રગમુલ્લા સ્થિત સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ ત્રણેય જવાનોની પોસ્ટિંગ માછિલ સેક્ટરની અલ્મોડા પોસ્ટ પર હતી, ત્યારે તેઓ હિમસ્ખલનનો ભોગ બન્યા હતા. પોલીસે કહ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના 3 જવાન શહીદ થયા છે. પોલીસે પુષ્ટિ કરી કે ત્રણેય જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાન ફરજ પર હતા ત્યારે તેઓ હિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા. હિમસ્ખલનને કારણે જવાનો તેની નીચે દબાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘટના ઉત્તર કાશ્મીરના કુપવાડાની છે.
શિયાળામાં વધી જાય છે હિમસ્ખલનનું જોખમ
શિયાળામાં આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવે છે. હિમવર્ષાને કારણે હિમસ્ખલનનું જોખમ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં સેનાના જવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હિમવર્ષા દરમિયાન સુરક્ષાનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે છે અને સૈનિકોએ સતર્ક રહેવું પડે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલન થાય છે. જાન્યુઆરી મહિના દરમિયાન, હિમવર્ષા થાય છે અને હિમસ્ખલનનો ભય વધુ રહે છે. આવી જ એક ઘટનામાં જાન્યુઆરી 2020માં માછિલ સેક્ટરમાં જ સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.
અરુણાચલ પ્રદેશમાં શહીદ થયા હતા સાત જવાનો
રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. આ ઘટના આ વર્ષના ફેબ્રુઆરી મહિનાની છે, જ્યારે સેનાના સાત જવાન શહીદ થયા હતા. રિપોર્ટ મુજબ હિમસ્ખલનમાં માર્યા ગયેલા જવાનોની ઓળખ હવાલદાર જુગલ કિશોર, રાઈફલમેન અરુણ કટ્ટલ, રાઈફલમેન અક્ષય પઠાનિયા, રાઈફલમેન વિશાલ શર્મા, રાઈફલમેન રાકેશ સિંહ, રાઈફલમેન અંકેશ ભારદ્વાજ અને જનરલ ગુરબાજ સિંહ તરીકે થઈ હતી.