વારાણસીની પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) કેસની સુનાવણી આવતીકાલે બપોરે 1 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે. જ્ઞાનવાપી વિવાદ કેસમાં અરજદાર અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ કમિટીએ જ્ઞાનવાપીમાં સર્વે (Gyanvapi Masjid Survey) પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ મસ્જિદના સર્વેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટે 1991માં દાખલ કરાયેલા મૂળ દાવા પર રોક લગાવી દીધી છે. પરંતુ તે બાબતને બાયપાસ કરવા માટે 2021 માં બીજી અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં બંને અરજીઓ પ્લેસ ઑફ વર્શિપ એક્ટ 1991ની વિરુદ્ધ છે. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે પણ પોતાના નિર્ણય દ્વારા આ કાયદા પર પોતાની મહોર લગાવી દીધી હતી.
જણાવી દઈએ કે આજ જ્ઞાનવાપી મસ્જિદના ત્રીજા દિવસનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વેનો રિપોર્ટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સતત ત્રીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વે-વીડિયોગ્રાફીનું કામ શરૂ થયું. વાદી અને પ્રતિવાદી, એડવોકેટ કમિશનર સહિત તમામ જ્ઞાનવાપી મસ્જિદમાં હાજર હતા. સર્વે અંગે માહિતી આપતા સરકારી વકીલ મહેન્દ્ર પ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે આજે સર્વે પંચે તેનું કામ પૂર્ણ કર્યું છે.
આયોગે દરેક જગ્યાની વિડિયોગ્રાફી કરી છે. ત્રણેય ડોમ, ભોંયરું, તળાવ દરેક જગ્યાએ રેકોર્ડીંગ કરવામાં આવ્યું છે. આવતીકાલે એડવોકેટ કમિશનર કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ત્રણ સભ્યો આજે આ રિપોર્ટ તૈયાર કરશે. જો રિપોર્ટ પૂરો નહીં થાય તો આવતીકાલે અમે કોર્ટ પાસે વધુ સમય માંગી શકીએ છીએ. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી છે.
બીજી તરફ જ્ઞાનવાપી મસ્જિદમાં પ્રથમ દિવસે સર્વેની કામગીરી સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ચાલી હતી. એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રા સાથે 52 લોકોની ટીમે બેઝમેન્ટના ચાર રૂમનો સર્વે કર્યો હતો. આ દરમિયાન સમગ્ર અભિયાનની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. ટીમે દિવાલોના નિર્માણથી લઈને થાંભલા સુધીની વીડિયોગ્રાફી કરી હતી.
સર્વે દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મસ્જિદ પરિસરના લગભગ એક કિલોમીટરની ત્રિજ્યામાં 1500 થી વધુ પોલીસ અને પીએસી કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. અગાઉ ભોંયરાઓની ચાવીઓ ન આપવાનો મામલો સામે આવ્યો હતો, પરંતુ એડવોકેટ કમિશનર તરફથી આ અંગે કંઈ જ કહેવામાં આવ્યું ન હતું. તેને અફવા ગણવામાં આવી.