આજે 16 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરતના ડભોલીમાં બે પુત્રીને ઝેરી દવા પીવડાવી માતાએ કર્યો આપઘાત. ઘરમાં સામાન્ય બાબતે કંકાસ થતા માતાએ બે દિકરીને ઝેરી દવા પીવડાવીને માતાએ પણ દવા પીતા, સારવાર દરમિયાન તેનુ મોત થયું છે.જ્યારે 6 વર્ષની વેનીશા અને 5 વર્ષની આરવી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. ડભોલી ગામમાં રહેતી રત્નકલાકારની પત્નીએ તેની બે પુત્રીને ઝેરી દવા પાણીમાં મિશ્રણ કરી પીવડાવ્યા બાદ પોતે પણ પી આપઘાતનો પ્રયાસ, સારવાર માટે ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે માતાનું મોત થયું હતું. જ્યાર બંને પુત્રીઓ હાલ સારવાર હેઠળ દાખલ છે. પત્ની મિતલબેન સાથે ઘરમાં અવારનવાર રસોઈ કે જમવા બાબતે તેમજ અન્ય નાનીમોટી વાતોને લઈ ઝઘડાઓ થતા હતા. જે ઝઘડાઓથી અંતે કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
મહીસાગરના સંતરામપુરના બટકવાડા ગામે પોલીસ પર હુમલાની ઘટના બની છે. શંકાસ્પદ થેલા લઈ જતા 2 શખ્સને રોકવા જતા પોલીસ પર હુમલો કરાયો હતો. 20 લોકોના ટોળાએ ઘાતક હથિયારો સાથે પોલીસને ચારેબાજુથી ઘેરી લઈને હુમલો કર્યો હતો. પોલીસકર્મીઓ પર કુહાડી અને પાવડા જેવા હથિયારોથી કરાયો હુમલો. હુમલામાં 3 પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. સંતરામપુર પોલીસ મથકે 20 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. SOG, LCBની ટીમની કોમ્બિંગ હાથ ધરી ફરાર આરોપીને પકડવા તપાસ કરી છે.
અમદાવાદના બોપલમાં ANTFની ટીમની કાર્યવાહી. આરોહી વિવિઆના ફ્લેટમાં ANTF એ મોટી કાર્યવાહી કરી છે. ડ્રગ્સ, ગાંજો, કોકેઈન, દારૂનો જથ્થો ફ્લેટમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. ફ્લેટમાં રહેતા નિશાંત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ANTFની ટીમે 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામના બારીયા ગામમાં પશુપાલકોએ, ચૂંટણી પ્રચાર કરવા આવેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પશુપાલકોના વિરોધ અને ચૂંટણી પ્રચારના વિવાદનું મુખ્ય કારણ દૂધ ઉત્પાદક સંઘની પસંદગી છે. હાલમાં દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ અમદાવાદની ઉત્તમ ડેરીમાં લેવામાં આવે છે. જ્યારે પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે, તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાની મધુર ડેરીમાં લેવામાં આવે. આ મુદ્દા ઉપર પશુપાલકોએ વાદ નહીં વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં” ના નારા લગાવી આખું ગામ ગજવી મૂક્યું હતું.
અમદાવાદ ગ્રામ્યમાં, માંડલ તાલુકાના હાંસલપુર ગામમાં આવેલી ક્રિષ્ના મારૂતિ કંપની (મોલ્ડીગ વિભાગ)સામે કામદારોનો રોષ હવે ફાટી નીકળ્યો છે. વર્ષોથી ચાલતા શોષણ, અન્યાય અને તંત્રની બેદરકારીથી કંટાળેલા 150થી વધુ કામદારો રસ્તા પર ઉતરી હડતાળ પર ઉતરી આવ્યા છે. કામદારો સાથે ભારે શોષણ થતું હોવાનો આરોપ છે. મજૂરોનો આક્ષેપ છે કે, દિવસના આઠ કલાકના કઠોર પરિશ્રમ છતાં તેમને સરકારના ધોરણ મુજબ વેતન આપવામાં આવતું નથી. સેફ્ટીના મુદ્દે પણ કંપની ગંભીર બેદરકારી દાખવી રહી હોવાનું કામદારો જણાવે છે. સાથે જ કેન્ટીનમાં આપવામાં આવતું ભોજન પણ નીચી ગુણવત્તાનું હોવાને કારણે કામદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ તમામ મુદ્દાઓ સામે કંપની તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, જેના કારણે કામદારોમાં રોષ વધુ વધ્યો છે.
વડોદરા જિલ્લા ભાજપમાંથી 11ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 11 પદાધિકારી-હોદ્દેદારો-કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારાને સજા કરાઈ છે. તમામને 5 વર્ષ માટે પાર્ટીમાંથી ઘરભેગા કરાયા. પાદરા, સાવલી, વાઘોડિયામાં પાર્ટીની કાર્યવાહી. વડોદરા, કરજણ, ડભોઇમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે આપ્યું રાજીનામુ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ જીલ્લા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યું. પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા ને રાજીનામા પત્ર લખ્યો. અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ. 12 એપ્રિલના રોજ રાજીનામું આપ્યું હોવાનો પત્ર આવ્યો સામે.
મહેસાણા ભાજપે, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સામે મોટી કાર્યવાહી કરી છે. વડનગર, કડી, વિજાપુર અને વિસનગર પંથકના 6 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ લેવાયો આકરો નિર્ણય. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર સહિતના નેતાઓ 6 વર્ષ માટે સસ્પેન્ડ. અપક્ષ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા તેમજ બળવાખોરોને મદદ કરવા બદલ કાર્યવાહી. જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે જાહેર કર્યા સસ્પેન્શન ઓર્ડર. વડનગર, કડી, વિજાપુર અને વિસનગર પંથકના સભ્યો સામે લેવાયા કડક પગલાં.
સ્પાઇસજેટ અકાસા વિમાનો વચ્ચે ટક્કર થવા પામી છે. દિલ્હી એરપોર્ટ પર એક મોટી ઉડ્ડયન દુર્ઘટના ટળી છે. બે વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર બાદ, બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. વધુમાં, બંને વિમાનોને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યા છે.
દાહોદના દેવગઢ બારીયાના વડભેટ ગામે સર્જાઈ હૃદયદ્રાવક ઘટના. કૌટુંબિક કારણોસર માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું. ચંપાબેન રાઠવા નામની મહિલાએ ગામના સીમાડે ભરેલું આઘાતજનક પગલું. ઘટનામાં માતા અને એક પુત્રીનો બચાવ, 3 માસૂમ બાળકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 12 વર્ષની પુત્રી પ્રિયંકા, 5 વર્ષનો ગિરિરાજ અને 2 વર્ષનો રાજવીર સામેલ છે. ગ્રામજનોએ તાત્કાલિક તમામ લોકોને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં માતા ચંપાબેન અને પુત્રી સવિતા દેવગઢબારીયા સિવિલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ અરેરાટી.
એશિયાની સૌથી મોટી ઊંઝા APMCમાં સર્જાઈ રોકડની ભારે અછત સર્જાઈ છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે, રોકડ નાણાની અછત અંગે કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરી છે. નિર્મલા સીતારમણ સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્નના સત્વરે ઉકેલની માંગ કરી છે. ઊંઝા યાર્ડમાં પીક સીઝનને લઈને ખેતપેદાશોની થઈ રહી છે મબલખ આવક. સ્થાનિક બેંકોમાં રોકડની અછતથી ખેડૂતો અને વેપારીઓને પડી રહી છે મુશ્કેલી. રોકડ ઉપાડ માટે RBI અને બેંકોને તાત્કાલિક નિર્દેશ આપવા સાંસદની અપીલ. સાંસદની રજૂઆતને પગલે ખેડૂતો અને વેપારીઓમાં સમસ્યાના જલ્દી ઉકેલની આશા.
યુબીટીના સાસંદ અરવિંદ ગણપત સાંવતે સરકારની મનછા ઉપર પ્રહાર કરતા કહ્યું કે, મહિલા આરક્ષણ બિલને ડિલિમિટેશનની સાથે જોડીને વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યું છે. જો સરકાર મહિલાના હિતમાં નિર્ણય લેવા માંગતી હોય તો ડિલિમિટેશનથી અલગ કરીને બિલ રજૂ કરવામાં આવે તો વિપક્ષ એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વિના બિલને મંજૂરી આપશે. પરંતુ મહિલા અનામતની ઢાલ બનાવીને નવા સિમાંકન કરવું છે. કરની કથનીમાં ફેર છે.
રાજનીતિના ત્રાજવે ના તોળવામાં આવે. સંખ્યાના સંબંધમાં એક મત પહેલાથી ચાલ્યો આવે છે કે, આને ઓછો ના કરો વધી શકે તો….અને સંસદના ગૃહની સંખ્યા પણ પહેલેથી જ વિચારી રાખીને બનાવ્યું છે. રાજકારણની ચિંતા બધાને હોય અને હારની ચિંતા હોય તે સ્વાભાવિક છે.
વજાપ્રધાન મોદીએ કહ્યું કે, જો વિરોધ કરશે તો તેનો રાજકીય લાભ મને મળશે. પરંતુ જો આ બિલને સાથે લઈને ચાલશો તો કોઈને રાજકીય લાભ નહીં મળે. જો આ બિલ પસાર કરાશે તો સરકારી ખર્ચે જાહેરખબર છાપીને બધાને ક્રેડીટ આપવામાં આવશે. મહિલા બિલ અંગે ક્રેડિટનો બ્લેન્ક ચેક સામેથી આપી રહ્યો છુ તેમ મોદીએ કહ્યું હતુ
આ બિલ અંગે જ્યારે વાત કરાઈ હતી ત્યારે દરેકે વૈધાનિક રીતે તેનો સ્વીકાર કર્યો હતો. પરંતુ જ્યારે સામૂહિક વાત આવે ત્યારે રાજકીય બાબત આવી જાય છે. એક વાત કહીશ કે જ્યારે પણ મહિલાની વિરોધની વાત કરનારાને દેશની મહિલાઓ માફ નથી કર્યા. જો આપણે સૌ સાથે જઈએ તો કોઈ રાજકીય પક્ષની તરફેણમાં નહીં પણ દેશ હીતમાં જશે. ટ્રેઝરી બેંચ કે મોદી તેના હક્કદાર નથી. જેમને રાજકારણની ગંધ આવતી હોય તેઓ પાછલો રાજકીય ઈતિહાસ જોઈ લે, ફાયદો તેમને જ છે.
આજૈે સંસદના વિશેષ સત્રમાં રજૂ કરાયેલા ત્રણ બિલ દેશને નવી દિશા આપશે તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. આજે મારે અહીંયા આમ તેમ વાત નથી કરવી. આ બિલ પરની ચર્ચાના આધારે દેશની ભલાઈ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ધાવડા અને દેવપર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક સાઈડ કાપવા જતા નિયંત્રણ ગુમાવતાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય કારમાં સવાર એક બાળકી અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. કતારગામ વોર્ડ નં-7માં ભાજપ ઉમેદવાર રઘુ ખૂંટ સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પ્રચાર દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ તેમને ઘેરીને હોસ્પિટલ સંબંધિત મામલે કોન્ટ્રાકટર પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત, રૂપિયા લઈને બાંધકામ તોડાવવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આક્ષેપો વચ્ચે સ્થિતિ તંગ બનતા રઘુ ખૂંટે પ્રચાર વચ્ચે જ સ્થળ છોડી દીધું હતું, જેના કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જે પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સંકલ્પ પત્રમાં ‘સ્લમ ફ્રી સિટી’ના લક્ષ્ય સાથે ‘જ્યાં ઝૂંપડુ ત્યાં ઘર’નો મહત્વાકાંક્ષી વાયદો કરવામાં આવ્યો છે. શહેરમાં 20 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાના, લગભગ 500 કિમી જેટલી જૂની ડ્રેનેજ લાઇનો બદલવાના અને 18 નવા બ્રિજ નિર્માણ સાથે સુભાષ બ્રિજને 8 માર્ગીય બનાવવાની યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત, 28 નવા ફાયર સ્ટેશન ઉભા કરવા અને શહેરનો ગ્રીન કવર 12.50 ટકાથી વધારી 18 ટકા સુધી લઈ જવાનો પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે દાવો કર્યો કે ગત વર્ષના વિઝન ડોક્યુમેન્ટમાંથી 96 ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી આજે, ગુરુવારે બપોરે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે લોકસભામાં ભાષણ આપે તેવી અપેક્ષા છે.
જામનગરના વોર્ડ નં.10ની એક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં નિયમિત સફાઈ ન થવી અને ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો લાંબા સમયથી પરેશાન છે. વરસાદી પાણી ભરાવાના કારણે ઘરોમાં મોટાપાયે નુકસાન થયું હોવા છતાં નુકસાનના ફોર્મ ભર્યા બાદ પણ સરકારી સહાય ન મળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોમતીપુર વિસ્તારની સોસાયટીના રહેવાસીઓએ તંત્ર પર અવગણનાનો આક્ષેપ કર્યો છે અને વર્ષોથી સમસ્યાઓ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા તેઓ નિરાશ થયા છે. વારંવારની રજૂઆતો બાદ પણ જવાબ ન મળતાં અંતે લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર કેટલાક લુખ્ખાઓએ એક પાર્લર પર અપશબ્દો બોલી હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે થયેલી આ દાદાગીરીથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોના આધારે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બિનહરીફ ઉમેદવારોનો નવો વિક્રમ નોંધાયો છે. કુલ 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. પોરબંદરમાં સૌથી વધુ 11, આણંદમાં 12 અને મહેસાણામાં 5 ઉમેદવારો બિનહરીફ રહ્યા છે, જ્યારે વડોદરા અને અમદાવાદમાં 2-2 ઉમેદવારો બિનહરીફ બન્યા છે. હવે કુલ 8817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાનમાં છે, અને બાકી રહેલી 9237 બેઠકો માટે 26મીના રોજ મતદાન યોજાશે.
રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. પોલારપર રોડ નજીક કિશોર બારોટની વાડીમાં પોલીસે દરોડા પાડ્યા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવતા ચાર બુટલેગરોએ પોલીસનો વિરોધ કર્યો અને ઝપાઝપી કરી હતી. આરોપ છે કે તેમણે પોલીસનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો અને નશાની હાલતમાં પોલીસને ધમકીઓ પણ આપી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી તેમને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વોર્ડ નંબર-9માં પ્રચાર દરમિયાન એક કાર અચાનક ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ સમયે હાજર ભાજપ ઉમેદવારે તરત જ પ્રચાર રોકીને કારચાલકની મદદ માટે આગળ આવ્યા હતા. બાદમાં કાર્યકરોએ એકઠા થઈને કારને ડિવાઇડર પરથી સલામત રીતે નીચે ઉતારી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ચર્ચા જગાવી છે. તેમણે કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાનો સંકેત આપતા લખ્યું કે તેમને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જીતવા માટે પહેલા પાર્ટીને અંદરથી મજબૂત બનવું પડશે. તેમની આ ટિપ્પણીથી કોંગ્રેસમાં એકતા અંગે પ્રશ્નો ઉભા થયા છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપે બિનહરીફ ઉમેદવારોના મામલે નોંધપાત્ર વિક્રમ સર્જ્યો છે. પોરબંદર કોર્પોરેશનમાં સૌથી વધુ 11 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે આણંદમાં 12, મહેસાણામાં 5 અને વડોદરા તથા અમદાવાદમાં 2-2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 1816 ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા ભાજપની 720 બેઠકો બિનહરીફ બની છે, જેના કારણે કડીમાં ભાજપને બે તૃતિયાંશ બહુમતિ મળી ગઈ છે અને ઊંઝા, બાયડ, ગણદેવી તેમજ સહેરા સહિત 8થી વધુ પાલિકાઓમાં ચૂંટણી પહેલાં જ સત્તા મેળવી લીધી છે. હાઈવોલ્ટેજ રાજકીય નાટક બાદ હવે બાકી રહેલી 9237 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં ઉમેદવારોને પ્રચાર માટે 9 દિવસનો સમય મળશે. 26મીના મતદાન બાદ 28મીના પરિણામ જાહેર કરવામાં આવશે.
સંસદનું ખાસ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. તે ત્રણ દિવસ ચાલશે. આ સત્ર દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. 16-17 એપ્રિલે લોકસભામાં અને 18 એપ્રિલે રાજ્યસભામાં આ બિલો પર ચર્ચા થશે. પીએમ મોદી મહિલા અનામત બિલ પર પણ વાત કરશે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ બિલ રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને ગૃહોમાં ચર્ચાનો જવાબ આપશે.
Published On - 7:30 am, Thu, 16 April 26