
પીએમ કિસાન સન્માન નિધિ અપડેટ: દેશના લાખો અન્નદાતાઓ માટે આવનારો સમય મહત્વપૂર્ણ બની રહેવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે હવે નવી આશાઓ જાગી છે. દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વરદાન સ્વરૂપ ગણાય છે. ખેડૂતો તેમના આગામી હપ્તા એટલે કે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડૂત સહીત ખેતી સાથે સંકળાયેલા સૌ કોઈની નજર, આગામી 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર મંડરાઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ફાળવવામાં આવતા ભંડોળમાં વધારો કરવામાં આવી શકે છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કૃષિ ક્ષેત્ર મોદી સરકારની પ્રાથમિકતા યાદીમાં ટોચ પર છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-25) પર નજર નાખતા, સરકારે શરૂઆતમાં ₹60,000 કરોડની ફાળવણી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે કરી હતી. જોકે, ખેડૂતોની જરૂરિયાતો અને યોજનાના વ્યાપને ધ્યાનમાં રાખીને, તેને વધારીને ₹63,500 કરોડ કરવામાં આવ્યા હતા. આ વધારો મામૂલી નથી; તે લાભાર્થીઓની વધતી સંખ્યા અને કોઈ પણ પાત્ર ખેડૂતના ભંડોળમાં અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાની સરકારની ઇચ્છા દર્શાવે છે. છેલ્લા બે વર્ષમાં ₹2,000 કરોડથી વધુનો બજેટ વધારો સરકારના ઇરાદાઓને સ્પષ્ટપણે દર્શાવે છે.
દરેક ખેડૂત પાસે હાલ તો સૌથી મોટો પ્રશ્ન અને ચર્ચાનો વિષય એ છે કે શું મોદી સરકાર ₹6,000 ની વાર્ષિક સહાય રકમમાં વધારો કરશે કે નહીં. કૃષિ ક્ષેત્રે સતત વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને, સન્માન નિધિની રકમમાં વધારો કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. હાલમાં, આ રકમ ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેનાથી ખાતર અને બીયારણ ખરીદવામાં તાત્કાલિક રાહત મળે છે. કોઈ જ વચેટીયા વિના ખેડૂતોને ફાળવવામાં આવતા રૂપિયા સીધા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે તે એ યોજનાની સૌથી મોટી તાકાત છે. હવે આશા છે કે સરકાર આગામી બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે.
જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ બજેટ રજૂ કરશે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર કૃષિ મંત્રાલયના પ્રસ્તાવો પર નજર રાખશે. કૃષિ જગત સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે, આગામી ચૂંટણીઓ અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને, આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે “મોટી ભેટ” આપી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ થયા પછી, સરકારે ભંડોળ વિતરણમાં પારદર્શિતા જાળવી રાખી છે અને નાણાકીય વર્ષ 2023-24 માં જ 61,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યા છે.
દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો