
કેન્દ્રીય શ્રમ મંત્રાલય ખાનગી ક્ષેત્રમાં ઓછી આવક ધરાવતા કર્મચારીઓ માટે ‘એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન’ (ESIC) નામની સ્વાસ્થ્ય યોજના ચલાવે છે. ESIC કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આજના જમાનામાં આવતા મોંધાદાટ તબીબી ખર્ચના આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરે છે. હવે ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020’ની કલમ 142 હેઠળ એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે ESIC ઓળખ કાર્ડ માટે ‘આધાર સીડિંગ’ (આધાર લિંકિંગ) ફરજિયાત બનાવે છે. એટલે કે, ESIC કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું આવશ્યક છે.
ESIC યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રના કર્ચમારીઓ અને તેમના પરિવારજનોને મફત તબીબી સારવાર અને દવાઓ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે, તેમણે ESIC ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. તેમના ESIC કાર્ડ અને નોકરીદાતા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો સાથે નોંધણી કરાવીને, કર્મચારીઓ સારવાર કરાવી શકે છે અને મફત દવાઓ મેળવી શકે છે.
ESIC એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય વીમા યોજના છે. જે ખાસ કરીને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ અણધાર્યા રોગ, અકસ્માત કે બિમારીની સ્થિતિમાં તબીબી સારવાર માટે લાભો પૂરા પાડે છે. તબીબી સારવારના લાભો માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ મળે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના સમયે કામદારો અને કામચલાઉ કર્મચારીઓને મદદ કરવાનો છે.
જોકે, તે ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓને લાગુ પડતી નથી. નિયમો અનુસાર, રૂપિયા 21,000 સુધીનો માસિક મૂળ પગાર (બેઝિક સેલરી) ધરાવતા કર્મચારીઓ આ યોજના માટે પાત્ર છે. દિવ્યાંગ કર્મચારીઓ માટે છૂટછાટ આપવામાં આવી છે, જેમની માટે મૂળ પગારની મર્યાદા રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે.
ESIC યોજના હેઠળ મળતા લાભોમાં માંદગીના લાભો, પ્રસૂતિ લાભો, પેન્શન લાભો, આશ્રિતો માટેના લાભો અને અપંગતાના લાભોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મફત સારવાર ESI હોસ્પિટલોમાં તેમજ તેમની સાથે સંલગ્ન અથવા તેમના દ્વારા રેફર કરવામાં આવેલી મુખ્ય હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.