કોગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની (Congress Party President) ચૂંટણીને લઈને કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. અત્યાર સુધીની અટકળોમાં શશિ થરૂર અને અશોક ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી લડશે તેવા અહેવાલો છે. તો સાથે જ કોંગ્રેસની અનેક રાજ્ય એકમોએ પાર્ટી અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ચૂંટણીના હોબાળા વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે (Digvijay Singh) રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી (Mahatma Gandhi) સાથે કરી છે. તેમણે કહ્યું કે રાહુલ આજની કોંગ્રેસના અને આજની રાજનીતિના મહાત્મા ગાંધી છે.
રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જોડો યાત્રા‘ પર છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીને લઈને પાર્ટીમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ‘ભારત જોડો યાત્રા’ના કન્વીનર દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધીજી સાથે કરી હતી અને ન્યૂઝ ચેનલ ટીવી 9 ભારતવર્ષને કહ્યું હતું કે આપણે બધા હજુ પણ ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને. તેઓ અમારા સર્વમાન્ય નેતા છે.
તેમણે વધુમાં કહ્યું કે જે રીતે મહાત્મા ગાંધી આઝાદીની ચળવળ સમયે કોંગ્રેસના સર્વમાન્ય નેતા હતા તેવી જ રીતે આજે રાહુલ ગાંધી એક માન્ય નેતા છે. શું તેમણે ક્યારેય કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી હતી? તેઓ એમ પણ કહ્યું છે કે એકંદરે રાહુલ આજની કોંગ્રેસના, આજના સમયના, આજની રાજનીતિના મહાત્મા ગાંધી છે. તેમણે એમ પણ કહ્યું કે પક્ષના અધ્યક્ષ તો આવશે અને જશે.
બીજી તરફ, કોંગ્રેસની ગોવા એકમ પણ મંગળવારે પાર્ટી અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીને સમર્થન આપતી રાજ્ય કોંગ્રેસ સમિતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. કોંગ્રેસના રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીર એકમોએ કોંગ્રેસના આગામી અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને સમર્થન આપતા સમાન ઠરાવ પસાર કર્યા છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલે 2019માં અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
દરમિયાન, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં જણાવ્યું હતું કે જો તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરશે તો ધારાસભ્યોને દિલ્હી પહોંચવાનો સંદેશ આવશે. વિધાયક દળની બેઠક બાદ રાજસ્થાનના એક કેબિનેટ મંત્રીએ આ જાણકારી આપી. પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ગયા સોમવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજસ્થાનના મંત્રી ખાચરીયાવાસે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત પહેલા કોચી જશે અને રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા વિનંતી કરશે. તેમના જણાવ્યા મુજબ, બેઠકમાં મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે જો તેમને અધ્યક્ષ પદ માટે નામાંકન કરવા માટે કહેવામાં આવશે તો તેઓ ધારાસભ્યોને જાણ કરશે. મંત્રીએ એમ પણ જણાવ્યું કે આ સાથે ગેહલોતે ધારાસભ્યોને વિધાનસભા સત્ર અંગે સૂચના આપી હતી.
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ખાદ્ય પુરવઠા મંત્રી પ્રતાપ સિંહ ખાચરીયાવાસે જણાવ્યું હતું કે, “બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરશે તો ધારાસભ્યોને નવી દિલ્હી પહોંચવાનો સંદેશો આવશે. ”
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ગેહલોત નામાંકન ભરશે તેવી અટકળો પર ખાચરિયાવાસે કહ્યું કે, મુખ્યમંત્રી પોતે વરિષ્ઠ નેતા છે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન ભરવું, ના ભરવું, શુ કરવું, આ બધી વાત અશોક ગેહલોત, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ બેસીને નિર્ણય લેશે.