ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપો, 3 શરતો રાખતા રાહુલ ગાંધીએ કહ્યું-આંદોલનકારી વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પેપર લીકના મુદ્દા પર ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે 22 જુલાઈને બુધવારે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ત્રણ માંગણીઓ રજૂ કરી. તેમણે કહ્યું કે આ ત્રણ માંગણીઓ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.

ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપો, 3 શરતો રાખતા રાહુલ ગાંધીએ કહ્યું-આંદોલનકારી વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ
| Updated on: Jul 22, 2026 | 7:08 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, નીટના પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે ઇન્દિરા ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ આંદોલનકારી વિદ્યાર્થીઓની સાથે છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીને નિષ્ફળ ગણાવતા, રાહુલે તેમના રાજીનામાની માંગણી કરી. તેમણે એવો પણ આગ્રહ કર્યો કે, સરકાર સંસદમાં પેપર લીકના મુદ્દા પર ચર્ચા કરે અને વડા પ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે થયેલા ક્રૂર વર્તન માટે માફી માંગે.

મીડિયા સાથે વાત કરતી વખતે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વીડિયો પણ બતાવ્યો. તેમણે ટિપ્પણી કરી કે, વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમની સાથે આ પ્રકારનો વ્યવહાર અસ્વીકાર્ય છે. તેમણે ઉમેર્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે, અને લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પેપર લીકના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ આ ત્રણ માંગણીઓ રજૂ કરી:

  • રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર સમક્ષ મારી પહેલી માંગ એ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ આ જ માંગણી કરે છે.”
  • “મારી બીજી માંગણી એ છે કે સરકાર પેપર લીકના મુદ્દા પર લોકસભામાં ચર્ચા કરે. આ રાષ્ટ્રીય હિતનો વિષય છે, અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાઈ ગયું છે.”
  • “ત્રીજી અને અંતિમ માંગણી એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે વિદ્યાર્થીઓ પ્રત્યે સરકારે અપનાવેલા વલણ બદલ માફી માંગે. અમે આ ત્રણ માંગણીઓમાંથી કોઈપણ સાથે સમાધાન કરીશું નહીં.”

રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે, વિદ્યાર્થીઓના આંદોલનથી સરકાર ગભરાઈ ગઈ છે અને હવે તેઓ ફક્ત ગભરાટ ફેલાવવા માંગે છે. “અમે પેપર લીકના મુદ્દા પર ચર્ચા કરવા માટે, લોકસભાના સ્પીકરને પણ મળ્યા હતા, પરંતુ તેમણે કહ્યું કે તેઓ સરકાર સાથે ચર્ચા કર્યા પછી અમને જાણ કરશે. અમે વિદ્યાર્થીઓ સાથે ઉભા છીએ અને આ મુદ્દા પર પાછળ હટીશું નહીં.”

પોલીસ કર્મચારીઓ અમારા કાનમાં કહી રહ્યાં હતા કે, “આ સરકારને હટાવો”:

ગઈકાલ 21મી જુલાઈને મંગળવારે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન અંગેના પ્રશ્નોના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, “ગઈકાલે, મને ખેંચીને પોલીસ વાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જે પોલીસકર્મીઓએ મને વિરોધ સ્થળ પરથી હટાવ્યો હતો તેઓ પોતે કહી રહ્યા હતા કે ‘આ સરકારને હટાવો’, પરંતુ તેઓ ઉપરથી આવતા આદેશોનું પાલન કરવા મજબૂર છે. એક પોલીસકર્મી હરિયાણાનો હતો, જ્યારે બીજો રાજસ્થાનનો હતો.”

મારી સાથે શું થયું તે મુદ્દો નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, “ગઈકાલે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર મારી સાથે શું થયું તે મુદ્દો નથી. ગઈકાલે, મારા મોંમાંથી લોહી નીકળતું હતું. જીતેન્દ્ર સિંહ મારી સાથે વાત કરવા આવ્યા હતા, પરંતુ તેમના શબ્દોનું કોઈ મહત્વ નહોતું. સરકાર મારા પર જે આરોપો લગાવી રહી છે તેનાથી હું બેફિકર છું. અમે વિદ્યાર્થીઓ સાથે ઉભા છીએ અને તેમને ટેકો આપીએ છીએ. ભારતના વિદ્યાર્થીઓ રસ્તાઓ પર છે, અને વિપક્ષે પણ રસ્તાઓ પર હોવું જોઈએ.”

CJP ના પ્રદર્શનમાં કેમ આવી ‘વાદળી વર્દીવાળી’ ફોર્સ? આખરે કોણ છે આ લોકો અને શું છે એમનું ‘કામ’?

Follow Us
Loading...
Unable to load recommendations.