સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ગ્રેનેડથી કર્યો હુમલો, પોલીસકર્મી શહીદ
જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) કુલગામના કામોહમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં પુંછ જિલ્લાના મેંધરનો રહેવાસી એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
સ્વતંત્રતા દિવસના (Independence Day) એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકીઓએ ફરી હુમલો (terrorist attack) કર્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના કામોહમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં પુંછ જિલ્લાના મેંધરનો રહેવાસી એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. તેને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ પોલીસકર્મીનું નામ તાહિર ખાન જણાવવામાં આવ્યું છે.
3 આતંકવાદીઓ માર્યા ગયા હતા
છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં જ બડગામના વોટરહોલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં ટીવી એક્ટર અમરીન ભટ અને ક્લાર્ક રાહુલ ભટની હત્યામાં સામેલ લશ્કર-એ-તૈયબાનો (Lashkar-e-Taiba) કમાન્ડર લતીફ રાથેર પણ માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.
પોલીસે માહિતી આપી હતી કે સુરક્ષા દળોને વોટરહોલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આના પર તેણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. લાંબા સમય સુધી ચાલેલા આ અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આતંકવાદીઓ દ્વારા પ્રવાસી મજૂરની કરાઈ હતી હત્યા
આ સિવાય આતંકીઓએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપ્યો છે. આતંકીઓએ તાજેતરમાં બાંદીપોરામાં એક પરપ્રાંતિય મજૂરને નિશાન બનાવ્યો હતો. બિહારના રહેવાસી આ મજૂરને આતંકવાદીઓએ ઠાર માર્યો હતો. આ પરપ્રાંતિય મજૂર મધેપુરાનો રહેવાસી હતો. તેનું નામ મોહમ્મદ અમરેજ હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. આ પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ પહેલા આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત આર્મી કેમ્પમાં ઘૂસીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સૈનિકોએ તેને જડબાતોડ જવાબ આપીને તેના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં 4 જવાન શહીદ થયા હતા. આ સાથે જ જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.