
ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI દ્વારા મધ, દેશી ઘી અને નાળિયેર પાણી જેવા ઉત્પાદનો પર ‘100%’ શુદ્ધતાના દાવા વાળા વેચાણ પર રોક લગાવવાના નિર્દેશ બાદ ડાબર ઇન્ડિયા (Dabur) નુ પહેલું નિવેદન સામે આવ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તે પોતાના તમામ પ્રોડક્ટ્સના પેકિંગ અને જાહેરાતોમાંથી ‘100%’ વાળા દાવા હટાવવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે. આ સાથે જ કંપનીએ કહ્યું કે આ મામલે કાનૂની સલાહ પણ લેવામાં આવી રહી છે.
ડાબરે જણાવ્યું કે તેના તમામ પ્રોડક્ટ્સ પૂરી રીતે શુદ્ધ અને સુરક્ષિત છે. કંપનીએ ક્યારેય ગ્રાહકોને ગુમરાહ કર્યા નથી અને તેના લેબલ જૂના નિયમો મુજબ જ હતા. FSSAI ના આદેશનું સન્માન કરતા કંપનીએ પોતાના પેકેજિંગ, જાહેરાતો અને વેબસાઇટ પરથી ‘100%’ વાળા શબ્દો હટાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે FSSAI ના આ પગલાંની અસર માત્ર આ જ કેટલાક ખાસ ખાદ્ય ઉત્પાદનો સુધી સીમિત રહેશે, જેનાથી કંપનીના મુખ્ય વ્યવસાય પર કોઈ મોટો ફરક નહીં પડે.
ફૂડ રેગ્યુલેટર FSSAI ના જણાવ્યા અનુસાર, ડાબર દ્વારા પોતાની વેબસાઇટ અને પેકેજિંગ પર ઉપયોગ કરવામાં આવી રહેલા 100% નેચરલ, 100% પ્યોર, 100% પ્યોરિટી ગેરંટીડ, 100% ઓર્ગેનિક અને 100% ટેન્ડર કોકોનટ વોટર જેવા દાવાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ, 2018 નું ઉલ્લંઘન કરે છે.
રેગ્યુલેટરનું માનવું છે કે કોઈપણ પેકેજ્ડ પ્રોડક્ટના ‘100% શુદ્ધ’ હોવાના દાવાને પૂરી રીતે સાબિત કરી શકાતો નથી, જેનાથી ગ્રાહકો ગુમરાહ થઈ શકે છે. ડાબર ઓર્ગેનિક હની અને એપલ સાઇડર વિનેગર પર યોગ્ય મંજૂરી વગર ‘જૈવિક ભારત’ નો લોગો લગાવવાનો પણ આરોપ છે.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં FSSAI એ કહ્યું કે તેણે ડાબરને નિર્દેશ આપ્યો છે કે તે 100% શુદ્ધતાના ગુમરાહ કરનારા દાવાઓ વાળા તમામ ફૂડ પ્રોડક્ટ્સના વેચાણ પર તરત જ રોક લગાવે. આ સાથે જ FSSAI એ કંપનીને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું છે.