ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના (Covid-19)ના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની પાછળનું કારણ કોરોના રસીકરણ અભિયાનમાં વેગ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 વિરોધ્ધી રસી આપવામાં આવી છે. માંડવિયાએ કહ્યું કે યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ (vaccination ) અભિયાનને આગલા સ્તર પર લઈ જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 થી 18 વર્ષની વયજૂથના 70 ટકાથી વધુ લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) અનુસાર, એવો અંદાજ છે કે 2021-22માં 15 થી 18 વર્ષની વય જૂથની વસ્તી લગભગ 7.4 કરોડ છે. દેશમાં આ વય જૂથ માટે કોવિડ વિરોધી રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં શુક્રવારે એન્ટી-કોવિડ રસીના ડોઝની સંખ્યા 174.99 કરોડના આંકડાને વટાવી ગઈ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી 32 લાખ (32,92,516) થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને મોડી રાત સુધીમાં અંતિમ રિપોર્ટના સંકલન સાથે દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1.86 કરોડથી વધુ કોવિડ નિવારક ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ પછી વિવિધ વય જૂથો માટે રસીકરણ શરૂ થયું.
ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડના વલણમાં ઘટાડો જોવાનું શરૂ થયું છે. શુક્રવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,920 કેસ નોંધાયા છે અને હવે તાજા કોવિડ ચેપમાં લગભગ 16 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ચેપને કારણે 492 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પછી વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5,10,905 થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણની ગતિને ઝડપી બનાવવા અને તેનો વ્યાપ વિસ્તારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તે મુજબ અત્યાર સુધીમાં રસીના 171.76 કરોડ (1,71,76,39,430) થી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં, 11.41 કરોડ (11,41,57,231) થી વધુ COVID રસીના ડોઝ હજુ પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે, જેનું સંચાલન કરવાનું બાકી છે. કોવિડ-19 રસીકરણનો નવો તબક્કો 21 જૂન 2021થી શરૂ કરવામાં આવ્યો હતો. વધુ રસીની ઉપલબ્ધતા, રાજ્યો દ્વારા રસીની આગોતરી ઉપલબ્ધતાના આધારે બહેતર આયોજન અને રસી પુરવઠા શૃંખલાને સુવ્યવસ્થિત કરીને રસીકરણ અભિયાનની ગતિ ઝડપી બની છે.
આ પણ વાંચો : યુઝર્સ Facebook ની જેમ WhatsApp પર પણ લગાવી શકશે પોતાની પ્રોફાઈલ કવર ફોટો, જલ્દી આવી રહ્યું છે આ ફિચર