Coronavirus Update : કોરોના વાયરસથી સંક્રમિત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સ્વાસ્થ્યમાં સુધાર થઇ રહ્યો છે. તેમને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષના પૂર્વ પ્રધાનમંત્રી ડ઼ૉક્ટર મનમોહન સિંહને સામાન્ય તાવ આવતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટમાં તેઓ કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી મળી હતી. 9 એપ્રિલે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા અને પાર્ટીના અન્ય નેતાઓએ તેમના સ્વસ્થ થવાની કામના કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે તેઓ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ઉત્તમ સ્વાસ્થ્ય અને જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરે છે. સોનિયા ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે હું સાંભળીને બહુ ચિંતિત છું કે મનમોહનસિંહ અસ્વસ્થ છે અને હોસ્પિટલમાં દાખલ છે. હું કોંગ્રેસના તમામ લોકો તરફથી કામના કરુ છું કે તેઓ જલ્દી સ્વસ્થ થાય.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે ચાર માર્ચ અને ત્રણ એપ્રિલે કોરોના રસીના બે ડોઝ લીધા હતા. સુરજવાલાએ કહ્યું કે ડૉક્ટર મનમોહનસિંહ માટે પ્રાર્થના કરવા અમે સૌ કોંગ્રેસના લોકો દેશના નાગરિકોનો આભાર માનીએ છીએ. ગયા વર્ષે એક નવી દવાના કારણે રિએક્શન અને તાવ બાદ મનમોહન સિંહને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ તેમને એઇમ્સમાંથી રજા મળી હતી. ડૉક્ટર મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અત્યારે રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા વર્ષ 2009માં એઇમ્સમાં તેમની બાઇપાસ સર્જરી થઇ હતી.