CORONA વાયરસના ખાત્મા માટે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન દેશમાં પુરજોશથી શરૂ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં રસીકરણ મહાભિયાન અને દેશમાં કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપી. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં કરોના રસીકરણ મહાઅભિયાનના 13માં દિવસે 25 લાખથી વધુ લોકોને કોરેના વેક્સીન આપવામાં આવી છે. ભારતમાં ઝડપથી 10 લાખ લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.
વેક્સીનથી આડઅસરના નહીવત કેસો
કોરોના વેક્સીનની આડઅસર અંગે જાણકરી આપતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે વેક્સીન આપ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મૃત્યુ થયા છે, પણ આમાં મૃત્યુનું કારણ કોરોના વેક્સીન નથી. CORONA રસી અપાયા બાદ રસીને કારણે ગંભીર, પ્રતિકુળ અસર કે મૃત્યુની હજી સુધી કોઈ ઘટના સામે આવી નથી.
કોરોના મહામારી પર ઘણું નિયંત્રણ આવ્યું – ડો.હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું કે દેશમાં કોરોના મહામારી પર ઘણું નિયંત્રણ આવ્યું છે. દેશમાં કોરોનાના નવા કેસો અને એક્ટીવ કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશનાં 18 જિલ્લાઓમાં 14 દિવસથી, 6 જિલ્લાઓમાં 21 દિવસથી અને 21 જીલ્લાઓમાં છેલ્લા 28 દિવસથી કરોના વાયરસનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. COVID-19 પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની 23મી વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા આરોગ્યપ્રધાને કહ્યું કે ઝડપી અને નિયમિત ટેસ્ટીંગ પ્રક્રિયાને કારણે આપણે આ સ્થાને પહોચ્યાં છીએ. દેશમાં અત્યાર સુધીમાં 19.5 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વર્તમાન સ્થિતિમાં દરરોજ 12 લાખ સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે .