દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 20 હજાર નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના કેસ (Corona Case) 2 લાખથી ઓછા આવી રહ્યાં છે. કેસમાં 68 ટકાનો ઘટાડો થયો છે. 66 ટકા કેસ 5 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. 33 ટકા કેસ 31 રાજ્યોથી આવી રહ્યાં છે.
100 થી વધુ એવરેજ દૈનિક નવા કેસના રિપોર્ટ કરનાર જિલ્લામાં સતત ઘટાડો થયો છે. 377 જિલ્લામાં આ દરમિયાન 5 ટકાથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે. 257 જિલ્લા 100 થી વધુ દૈનિક મામલા રિપોર્ટ કરી રહ્યાં છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. વર્તમાનમાં 91.3 ટકા કોરોનાનો રિકવરી દર છે. અત્યાર સુધી 22.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
જેમાં 60 ટકા વૃદ્ધોને કોરોનાની રસી લાગી ચુકી છે, તો 18 થી 45 ઉંમર વર્ગના 2.43 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. વિશ્વના આંકડા અનુસાર ભારતમાં વેક્સિનના ઓછામાં ઓછા એક ડોઝ મેળવનારની સંખ્યા 17.2 કરોડ છે. વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવનાર લોકોની સંખ્યાના મામલામાં આપણે અમેરિકાથી આગળ નિકળી ગયા છે. તો બાળકો માટે કોવેક્સિન અને ઝાયડસ કેડિલાના રસીની ટ્રાયલ શરૂ છે. બાળકો માટે 25 કરોડ ડોઝની જરૂર છે.
બીજી તરફ એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, અમેરિકી કંપની ફાઈઝરની વેક્સીન બાળકોને લગાવી શકાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં અમેરિકાની ફાઈઝર અને મોડર્ના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. ફાઈઝર 5 કરોડથી વધુ ડોઝ ભારત મોકલશે. બ્રિટેનમાં તો બાળકોની વેક્સીનને મંજૂરી આપી છે. મેડિસિન એન્ડ હેલ્થકેયર પ્રોડક્શન રેગ્લુલેટરીના સીઈઓ જૂન રાઈને કહ્યું કે, ફાઈઝરની વેક્સીન સુરક્ષિત અને અસરદાર છે.
રાજ્યમાં પણ કોરોના કાબૂમાં આવી રહ્યો છે અને 80 દિવસ બાદ રાજ્યમાં પહેલીવાર 1 હજાર 120 નવા દર્દી નોંધાયા છે, જ્યારે બે મહિના બાદ રાજ્યમાં દૈનિક મૃત્યુઆંક 17થી નીચે ગયો છે અને પાછલા 24 કલાકમાં નવા 16 દર્દીના મૃત્યુ થયા છે. નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 9 હજાર 906 પર પહોંચ્યો છે. જ્યારે 24 કલાકમાં 3 હજાર 398 દર્દી સાજા થવાની સાથે કુલ 7 લાખ 82 હજાર 374 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
રાજ્યમાં હવે 22 હજાર 110 એક્ટિવ કેસ જ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 412 પર પહોંચી છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 96.07 ટકા પર પહોંચ્યો છે.