ખુશખબર: બાળકો માટે આ મહીને આવી શકે છે સ્વદેશી વેકિસન, આ કંપનીની વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ
વીકે પાલે કહ્યું કે જો આ રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવે તો, આ રસી 12 થી 18 વર્ષના બાળકોને (Corona Vaccine for children) પણ આપી શકાય એમ છે.
કોરોનાની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે. આ વચ્ચે ત્રીજી લહેરની અસરની આશંકા વર્તાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર બાળકો પર વધુ અસર કરશે. આ વચ્ચે કોરોના સામેના એકમાત્ર હથિયાર વેક્સિનને લઈને જ આશાઓ બંધાઈ રહેલી છે. હાલમાં આપવામાં આવી રહેલી કોરોના વેક્સિન બાળકો માટે માન્ય નથી રાખવામાં આવી.
આ વચ્ચે સારા સમાચારના એંધાણ સંભળાઈ રહ્યા છે. આશા કરવામાં આવી રહી છે કે આ મહિનાના અંત સુધીમાં ભારતમાં બાળકો માટે સ્વદેશી વેક્સિન ઉપલબ્ધ થઇ જશે. અહેવાલ અનુસાર ઝાયડસ-કેડિલાની (Zydus-Cadila) સ્વદેશી રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ પૂર્ણ થઇ ચૂક્યું છે.
ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન
બે અઠવાડિયામાં જ કંપની તેના ઈમરજન્સી ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ની પરવાનગી માંગી શકે છે. નિતી આયોગના સભ્ય અને વેક્સિન્સ પરના સશક્તિકરણ જૂથના વડા વીકે પાલના જણાવ્યા અનુસાર ઝાયડસ-કેડિલાની રસીની તપાસમાં પુખ્ત વયના લોકો તેમજ 12 થી 18 વર્ષની વયના બાળકો શામેલ છે.
12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાશે આ વેક્સિન
વીકે પાલે કહ્યું કે જો આ રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવે તો, આ રસી 12 થી 18 વર્ષના બાળકોને (Corona Vaccine for children) પણ આપી શકાય એમ છે. તેમણે જણાવ્યું હતું કે ઝાયડસ-કેડિલાની રસીના પરીક્ષણનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તેમણે કહ્યું કે કંપની બે અઠવાડિયામાં મંજુરી માટે આવેદન પણ આપી શકે છે.
ત્રીજા પરીક્ષણના ડેટા પર વિશ્લેષણ
કોરોના સંક્રમણને લઈને બનાવેલી સમિતિ SEC આ વેક્સિનના ત્રીજા પરીક્ષણના ડેટા પર વિશ્લેષણ કરશે. જો બધું ઠીક રહ્યું તો આ વેક્સિનને ઉપયોગ માટે મંજુરી આપવા માટે ભલામણ કરવામાં આવશે. આ બાદ DCGI થી પરવાનગી મેળવવામાં કોઈ સમસ્યા નથી રહેતી. પરંતુ આ વિશ્લેષણ પ્રક્રિયામાં લગભગ બે અઠવાડિયા જેટલો સમય જાય છે.
બાળકોમાં કોઈ અગ્રતા નથી
તેમણે કહ્યું કે, પુખ્ત વયના અને વૃદ્ધ વર્ગમાં જે રીતે પ્રાધાન્યતા ગ્રુપ નક્કી કરવામાં આવ્યા છે, તે રીતે બાળકોમાં કોઈ અગ્રતા જૂથની રચના કરવી શક્ય નથી. આ વેક્સિન દરેક વયના બાળકો માટે સમાન રીતે હોવી જોઈએ. તેઓએ જણાવ્યું કે દેશમાં 12-18 વર્ષના બાળકોની વસ્તી 14-15 કરોડની છે. તેમના રસીકરણ માટે રસીના 28-30 કરોડ ડોઝની જરૂર પડશે.
આ પણ વાંચો: વેક્સિન કૌભાંડના આરોપોમાં ફસાયેલી પંજાબ સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને કહ્યું – પાછો આપી દો સ્ટોક