વેક્સિન કૌભાંડના આરોપોમાં ફસાયેલી પંજાબ સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને કહ્યું – પાછો આપી દો સ્ટોક
પંજાબ સરકાર પર વેક્સિનના નામે કૌભાંડ આચરવાના આરોપ અકાલીદળના વડાએ લગાવ્યા છે. પંજાબ સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને વેક્સિનનો બધો જ સ્ટોક પાછો આપવા કહ્યું છે.
વેક્સિનને લઈને પંજાબ સરકાર ઘેરાયેલી જોવા મળી રહી છે. પંજાબ સરકાર પર વેક્સિનના નામે કૌભાંડ આચરવાના આરોપ અકાલીદળના વડાએ લગાવ્યા છે અને અન્ય વિપક્ષના નેતા પણ આમાં જોડાયા છે. આ બાદ આ મામલાએ વેગ પકડ્યો છે. સરકાર પર સવાલો પણ ઉઠી રહ્યા છે. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકાર પર કોવિડ રસીકરણ અભિયાન દરમિયાન ગેરરીતિઓ અપનાવી ભારે નફો કમાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
પ્રાઈવેટને આપેલો સ્ટોક પાછો ખેંચ્યો
આ વચ્ચે પંજાબ સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને વેક્સિનનો બધો જ સ્ટોક પાછો આપવા કહ્યું છે. રસીકરણના રાજ્ય પ્રભારી વિકાસ ગર્ગ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આદેશને યોગ્ય ભાવનામાં આચરવામાં આવ્યો નથી, તેથી સ્ટોક પાછો ખેંચી લેવામાં આવ્યો છે.”
સરકારની નોંધમાં કહેવામાં આવ્યું છે કે, “ખાનગી હોસ્પિટલોને 18-44 વર્ષની વય જૂથની વસ્તી માટે ડોઝ ઉપલબ્ધ કરાવવાના આદેશને યોગ્ય ભાવનાથી લેવામાં આવ્યો નથી. આથી આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.” આદેશમાં જણાવાયું છે કે જ્યારે ખાનગી હોસ્પિટલોને રસી નિર્માતાઓ પાસેથી સીધી વેક્સિન મળે છે, ત્યારે તેઓએ રાજ્ય સરકારને જે અત્યારે ડોઝનો ઉપયોગ કર્યો છે તે પરત આપવા પડશે.
પંજાબ સરકાર પર ગંભીર આરોપ
પંજાબ રાજ્ય સરકારના કોટામાંથી ખરીદેલી વેક્સિન પ્રાઈવેટ હોસ્પિટલોને વેચવાનો આરોપ રાજ્ય સરકાર પર મુકવામાં આવ્યો છે. આરોપ છે કે પંજાબ સરકારે કોવિડ વેક્સિન નિર્માતા કંપનીઓ ભારત બાયોટેક અને સીરમ પાસેથી પ્રતિ ડોઝ 400 રૂપિયાના ભાવે વેક્સિન ખરીદી અને પ્રાઈવેટ હોસ્પિટલોને 1060 રૂપિયામાં વેચી છે. જેનો ભાવ પ્રાઈવેટ હોસ્પિટલો 1560 પ્રતિ વેક્સિન લઇ રહી છે.
સુખબીર બાદલે લગાવ્યા આરોપ
શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે પંજાબ સરકાર વેક્સિનની કુત્રિમ અછત પેદા કરીને લોકોના જીવ સાથે રમત રમી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આટલું કહેતા તેમણે ગણતરી બદ્ધ રીતે દર્શાવ્યું છે કે લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં 1500 થી 2000 રૂપિયાના ભાવે વેક્સિન લેવી પડે છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું તપાસ કરાવીશું
આરોગ્ય પ્રધાન બલબીર સિદ્ધુએ આ બાબતે કહ્યું કે ખોટું બોલવાની પણ એક હદ હોય છે. સુખબીર બાદલ એકદમ ખોટું બોલી રહ્યા છે. રાજ્યોમાં વેક્સિનનો અભાવ છે, તે જાણીતું છે. આરોગ્ય વિભાગ ન તો વેક્સિનની ખરીદી કરી રહ્યું છે અને ન વિતરણ કરી રહ્યું છે. આ માટે નોડલ એજન્સી બનાવવામાં આવી છે. અમારું કામ માત્ર સીકરણ કરવાનું છે. ખાનગી હોસ્પિટલો વેક્સિન જાતે ખરીદી અને આપી રહી છે. સિદ્ધુએ કહ્યું કે તેમ છતાં અમે તપાસ કરાવીશું.