Qutub Minar: દિલ્હીમાં કુતુબ મિનાર (Qutub Minar) સંકુલમાં પૂજાની માગ કરતી હિન્દુ પક્ષની અરજી પર ASI કહ્યું છે કે, કુતુબ મિનારની ઓળખ બદલી શકાતી નથી. ASIએ કહ્યું છે કે કુતુબ મિનારને 1914થી સંરક્ષિત સ્મારકનો દરજ્જો મળ્યો છે. કુતુબ મિનારની ઓળખ બદલી શકાતી નથી. તેમજ હવે સ્મારકમાં પૂજા કરવાની મંજૂરી આપી શકાશે નહીં. ASI (Archaeological Survey of India)એ તેના જવાબમાં કહ્યું છે કે, હિન્દુ પક્ષની અરજીઓ કાયદેસર રીતે માન્ય નથી. અત્યારે કુતુબ મિનારમાં પૂજા કરવાનો અધિકાર કોઈને નથી.કુતુબમિનારમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે 9 જૂન સુધી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે
જ્યારથી કુતુબ મિનારને રક્ષણ હેઠળ લેવામાં આવ્યું છે ત્યારથી અહીં કોઈ પૂજા કરવામાં આવી નથી, તેથી અહીં પૂજાની મંજૂરી આપી શકાતી નથી.
દિલ્હીની સાકેત કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કુતુબ મિનાર સંકુલની અંદર હિન્દુ અને જૈન દેવતાઓની પૂજા અને પુનઃસ્થાપનના અધિકારની માગ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનાર સંકુલમાં હિન્દુ દેવી-દેવતાઓની ઘણી મૂર્તિઓ છે. જે બાદ કોર્ટે ASIને આ મામલે કોર્ટમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ASIએ કુતુબ મિનાર સંકુલની અંદર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. ASI અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશભરમાં અસંખ્ય સ્મારકો એવા છે, જ્યાં પૂજા અને પ્રાર્થનાની મંજૂરી નથી. આમ છતાં કુતુબ મિનાર સંકુલમાં નમાઝ અદા કરવામાં આવી રહી હતી. હવે અહીં નમાઝ અદા કરનારાઓને આવું કરવાની મનાઈ કરવામાં આવી છે. અહીં પાંચ દિવસ સુધી નમાઝ બંધ છે.
તમને જણાવી દઈએ કે આ આખો મામલો ત્યારે ઉભો થયો જ્યારે કહેવામાં આવ્યું કે કુતુબ મિનાર પરિસરમાં બનેલી કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ એક મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. હિન્દુ પક્ષે આ 120 વર્ષ જૂના મંદિરના પુનઃસંગ્રહની માંગણી કરી હતી. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, 1198માં મુઘલ સમ્રાટ કુતુબ-દિન-ઐબકના શાસન દરમિયાન લગભગ 27 હિંદુ અને જૈન મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આ મસ્જિદ તે મંદિરોની જગ્યા પર બનાવવામાં આવી હતી.
Published On - 1:33 pm, Tue, 24 May 22