
સુપ્રીમ કોર્ટમાં યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર લાગનારા શુલ્ક વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા 14 અને 15 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા તે ગેઝેટ નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં ₹2,000થી વધુના કોમર્શિયલ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ અરજી વકીલ અંજન દત્તા દ્વારા એ આધાર પર દાખલ કરવામાં આવી છે કે તાજેતરમાં જાહેર કરાયેલા આ ચાર્જની આખરી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. આ અરજીમાં કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને UPI સાથે જોડાયેલી સંસ્થાઓને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજદારે એવી દલીલ કરી છે કે ભલે આ ચાર્જને નજીવો અને UPI પ્લેટફોર્મની જાળવણી માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યો હોય, અને ભલે આ ફી સીધી રીતે પ્લેટફોર્મ કે વેપારીઓ (મર્ચન્ટ્સ) પર લાગુ થતી હોય, પરંતુ છેવટે તો તેનો ભાર સામાન્ય જનતા પર જ આવવાનો છે.
અરજદારે વધુમાં જણાવ્યું છે કે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાથી ફરી રોકડ (કેશ) વ્યવહારોને પ્રોત્સાહન મળશે, જેના કારણે ડિજિટલ અર્થતંત્રમાં મુશ્કેલીઓ વધી શકે છે. આ કારણોસર અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ નાણાં મંત્રાલયના બંને નોટિફિકેશન તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગણી કરી છે.
હકીકતમાં દેશમાં 15 ઓક્ટોબરથી ડિજિટલ પેમેન્ટ સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ મંગળવારે જાહેરાત કરી હતી કે 15 ઓક્ટોબરથી સરકાર પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરશે. આ નીતિ હેઠળ વેપારીઓએ ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ફી ચૂકવવી પડશે, જ્યારે ₹75,000 કે તેથી વધુની ચૂકવણી પર મહત્તમ ₹300ની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
બીજી તરફ, કેન્દ્ર સરકારનો દાવો છે કે આ નવો નિયમ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહેલા UPI માટે આર્થિક રીતે સ્વનિર્ભર બનવું અત્યંત અનિવાર્ય બન્યું હતું. સરકારના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થાથી UPI માત્ર વધુ સુરક્ષિત જ નહીં બને, પરંતુ સાયબર જોખમો સામે લડવા માટે નવી ટેક્નોલોજીમાં રોકાણ કરવામાં પણ સક્ષમ બનશે.