
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા કેન્દ્ર સરકારે યુદ્ધસ્તરે પ્રયાસો શરૂ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં આઠ ગલ્ફ અને પશ્ચિમ એશિયાઈ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી તાજેતરની હિંસાની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ-સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ સંબંધિત દેશોના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો.
ઉડ્ડયન મોરચે પણ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે. 4 માર્ચે વિવિધ ભારતીય એરલાઇન્સ દ્વારા કુલ 58 ખાસ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઇન્ડિગોની 30 તેમજ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 23 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. યુએઈના ફુજૈરાહ એરપોર્ટથી દિલ્હી, મુંબઈ અને કોચી માટે વિશેષ ઉડાનો ચલાવવામાં આવી રહી છે. જેદ્દાહથી દિલ્હી સહિતના શહેરોમાં પણ ખાસ ફ્લાઇટ્સ દ્વારા નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા છે.
મધ્ય પૂર્વની પરિસ્થિતિને કારણે અત્યાર સુધી ભારતીય એરલાઇન્સની 1,221 અને વિદેશી એરલાઇન્સની 388 ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 1,117 આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ થવાથી મુસાફરોને ભારે અસર પહોંચી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તમામ એરલાઇન્સને સમયસર માહિતી આપવી, ટિકિટ રિફંડ અને રીશેડ્યૂલિંગમાં સહાય કરવી તથા મુસાફરોને સત્તાવાર વેબસાઇટ દ્વારા ફ્લાઇટની સ્થિતિ તપાસવા માર્ગદર્શન આપવાની સૂચના આપવામાં આવી છે. સરકાર અને વિદેશ સ્થિત ભારતીય મિશનો સતત સંપર્કમાં રહી ફસાયેલા નાગરિકોને સુવ્યવસ્થિત રીતે ભારત પરત લાવવા પ્રયત્નશીલ છે.
મધ્ય પૂર્વમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. તમે નીચેના નંબર પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો-અજીત ડોભાલથી આજે પણ ડરે છે પાકિસ્તાન, ભારતના ‘જેમ્સ બોન્ડ’નો આવો છે પરિવાર